પ્રેમ
Sunday, September 7, 2008
કહો છો તમે કેમ કે આપણે ઓળખાણ નથી?
કદાચ ભુલ્યા હશો તમે પણ હુ કેમ ભુલી શકુ?
સુની લાંબી સડકો પર, વનરાજી ની વચ્ચે થઇ
હાથ મા હાથ પરોવી ચાલ્યા છીએ આપણ્રે,
શહેર થી દુર, ઝાડ ની નીચે ચાર આંખ એક કરી,
સોનેરી શમણા ભાવિના જોયા છે આપણે.
શાંત રાત્રિ ના છેલ્લા પ્રહર મા વરસાદ ની ભીની મહેક સાથે
નીરવ એકાંતમા પ્રેમનો આલાપ્ છેડ્યો છે આપણે,
ચાર આંખ, બે શ્વાસ્ અને બે ધડકતા દિલ
એક કરીને એકબીજામા ખોવાઇ ગયા છીએ આપણે
પેલા નાનકડા છોડને (પ્રેમના), રોપી એક્બીજાના દીલમા
રાતદીન આંસુઓથી સીંચી સીંચી ખીલવ્યો છે આપણે,
આપણે મળ્યા, છૂટા પડ્યા અને ફરી મળતા પહેલા
પળભર પણ એક્બીજાની યાદમા સૂતા નથી આપણે
અને તમે કહો છો આપણે ઓળખાણ નથી?
હા, એ વાત જૂદી છે કે .........આપણે મળ્યા છીએ હમેશા મારા જ સ્વપ્નમા,
નમ્રતા અમીન
ખાલી હાથ
લોકોને ઉદારતાપૂર્વક મદદરૂપ થનાર એક માણસ પોતાની પત્ની સાથે બેંકના લોકરમાંથી છેલ્લો દાગીનો ઉપાડવા જઈ પહોંચ્યો. એક સમય હતો જ્યારે એનું બેંકનું લોકર જર-ઝવેરાત-દાગીનાથી ભરેલું હતું. ખાલી લૉકર જોઈ એની પત્નીએ નિસાસો નાખતાં કહ્યું: ‘‘જોયું, આપણે ખાલી થઈ ગયા !’’પતિ સ્વસ્થ હતો. એણે કહ્યું: ‘‘ના, આપણે આપીને માલામાલ થઈ ગયા !’’
આજે જિંદગીના તમામ માર્ગો રૂપીઆ અને સંપત્તિ તરફ વળતા દેખાય છે. શિક્ષણ પણ શું કામ ? મોટો મસ પગાર, આવક કે મોટા પદ થકી વૈભવશાળી જીવનની શક્યતા ઉભી કરવા.
તત્વજ્ઞાની ડાયોનિયસ પોતાના મિત્ર સાથે એક મેળામાં ગયો હતો. મેળામાં જાતજાતની ચીજ-વસ્તુઓ હતી, પણ ડાયોનિયસે તે પૈકી કશું જ ન ખરીદ્યું. એટલે પેલા મિત્રએ કહ્યું: ‘‘આપણે મેળામાંથી ખાલી હાથે જઈશું ?’’
‘‘કોણ કહે છે મારો હાથ ખાલી છે ? મારા હૃદયમાં માનવજાત પ્રત્યેની લાગણી અને તેમના કલ્યાણ માટેની ભાવના છે. આવી કશી વસ્તુઓ તો મેળામાં મને ક્યાં વેચાવા માટે આવેલી દેખાઈ નહીં. આ જગતમાં એવી અઢળક વસ્તુઓ છે, જેની ડાયોજીનિસને કશી જ જરૂર નથી
ચોર અને મહાપુરુષ

મહાપુરુષોની શ્રેણીમાં ચોરને પણ સ્થાન આપવું પડે. ભગવદગીતામાં કહ્યું છે તેમ જે સર્વ પ્રાણીઓની રાગી છે તેમાં સંયમી જાગે છે..આ સંયમી તે જ ચોર કારણ કે ચોર અવાજ, ઉતાવળ, ઉધરસ અને છીંક પર સંયમ રાખી ને બીજાના ઘરમાં હાથફેરો કરી શકે છે! ચોર પર ઇશ્વરની અસીમ કૃપા હોય છે. મોટાભાગની દુનિયાને પરિશ્રમ કરવાને જેવડો દિવસ બનાવ્યો છે એવડી જ રાત ઇશ્વરે ફક્ત ચોર માટે જ બનાવી દીધી છે! ચોરમાં મહાપુરુષનો બીજો ગુણ હોય છે સ્વાશ્રય નો. ગમે તેટલો માલેતુજાર ચોર હોય તો પણ પોતાનું કામ કરવા દાડીયા નાખતો નથી.
અખબારોમાં કેટલીક વખત વાંચવા મળે છે કે ઘરના સભ્યોએ કે શેરીવાળાઓએ ભેગા મળી ચોર ને પકડી લીધો ને લમધાર્યો. ચોરી કરવા પધારેલો ચોર જો આ રીતે યજમાનના ઘેર કે શેરીમાં મરી જાય ત્યારે યજમાનને 'ભક્ત હત્યા'નું પાપ લાગે છે અને એ પાપની સજા ભગવાન કાનૂનના નિમિતથી પોલીસને પ્રેરણા આપીને કરાવી લે છે. જ્યારે ચોર રૂપે અતિથિ ઘરધણીને પતાવીને છૂમંતર થઇ જાય તો પણ તેને ક્ષમ્ય ગણીને આશ્વાસનની ઔપચારિક્તા નીભાવવામાં આવે એવું 'પરમ સત્તા' ઇચ્છે છે!
ઘણા ભાગ્યશાળી ચોરને પોતાની કાર્યનિષ્ઠાને કારણે મહાપુરુષોનો ભેટો થયો છે. આવા પ્રસંગોએ મહાપુરુષોએ ચોર સાથે કેવો વ્યવહાર કર્યો છે એ ખુબ રસપ્રદ બની રહે તેવું છે. આવા પ્રસંગો માણીએ;

ગાંધીજી અને ચોર
એક રાતે સાબરમતી આશ્રમમાં ચોર ઘુસ્યો. તે કોઇ કિંમતી સામાનની શોધખોળ કરી રહ્યો હતો. એવામાં એક આશ્રમવાસીની નિંદર ઉડી ગઇ. તેણે બુમો પાડી આથી બીજા લોકો પણ જાગી ઉઠ્યાં. બધાએ મળીને ચોરને પકડી લઇને એક ઓરડીમાં પૂરી દિધો.
ગાંધીજી વહેલી સવારે ઊઠીને ફરવા જાય. આ ક્રમ મુજબ ફરીને તેઓ પાછા આવ્યા ને પોતાના ખંડમાં બેઠાં. આશ્રમવાસીઓએ તેમની પાસે આવીને કહ્યું કે રાતે એક ચોર પકડાઇ ગયો છે. તેને અમે ઓરડીમાં પૂરી દીધો છે. બાપુએ કહ્યું ;' ચોરને મારી સમક્ષ લાવો'
ચોર ને ઓરડીમાંથી કાઢીને એમની સામે રજુ કરવામાં આવ્યો. બાપુએ તેને પહેલો પ્રશ્ન કર્યો; તેં નાસ્તો કર્યો?
એક આશ્રમવાસીએ કહ્યું;'બાપુ! આ ચોરને નાસ્તો કોણ કરાવે?'
ગાંધીજીએ આશ્રમનાં વ્યવસ્થાપકને પૂછ્યું; 'શું આ મનુષ્ય નથી? જ્યારે આપ બધાએ દાળિયા, ગોળ, ચણા વગેરે ખાધા છે તો આને કેમ ન આપ્યા? શું ચોરને ભુખ ન લાગે?'
ગાંધીજીના આ વાક્યો સાંભળીને તે ચોરનીઆંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા, તેણે તે જ વખતે પસ્તાવો કરતા કહ્યું;'બાપુ! મને માફ કરો. હવે હું કદીએ ખરાબ કામ નહી કરું!' અને આ દિવસ થી તે પ્રમાણિક મનુષ્ય બની ગયો.
ઝેન ગુરુ અને ચોર
રયોકન નામે એક ઝેન ગુરુ થઇ ગયા, પર્વતની તળેટીમાં એક ઝૂંપડીમાં રહીને એ સાધના કરતા અને સાદાઇથી રહેતા. એક રાત્રે એમને ત્યાં ચોર આવ્યો પરંતુ ઝૂંપડીમાં ચોરીને લઇ જવા જેવું કશું એને જડ્યું નહી. રયોકને એને જતા રોક્યો અને કહ્યું; તું દૂરથી મને મળવા આવ્યો તેથી તને ખાલી હાથે જવા દઉં તે બરાબર ન ગણાય. તું મારાં કપડાં ભેટ તરીકે લઇ જા.'
ચોરને આશ્ચર્ય થયું પણ એ તો કપડાં લઇ ને રવાના થયો.
રયોકન તો નગ્ન અવસ્થામાં બેઠા બેઠામોજથી ચંદ્રને નીરખતા રહ્યા. પછી એ ધીરેથી બબડ્યાઃ 'બિચારો આદમી! મારું ચાલે તો હું તેને આ સુંદર ચંદ્ર આપી દેત!'
પીપાજી અને ચોર
પીપાજી પહોંચેલા સંત હતા. એક વખત બે ચોર રાતના સમયે તેની ઝૂંપડીમાં આવ્યા અને ઝૂંપડીના આંગણામાં બાંધેલી ગાયને લઇને તેઓ ચાલવા લાગ્યા. પીપાજી તો ઝૂંપડીમાં ભગવાનના ભજનમાં મસ્ત હતા. ગાય ભાંભરવાલાગી, આ અવાજ સાંભળીને પીપાજી બહાર આવ્યા અને જોયું તો બે જણાં ગાયને લઇ જઇ રહ્યાછે. પીપાજી બોલ્યા;'ભાઇઓ! ગાયનું વાછરડું પણ લેતા જાવ! વાછરડા વિના ગાય દૂધ નહી આપે અને વળી બિચારું વાછરડું પણ ગાયના વિયોગ માં મરી જશે.'
સંતના હ્ર્દયની કરૂણાભાવનાથી ચોરોનું હ્ર્દયપરિવર્તન થઇ ગયું. તેઓ પીપાજી ના પગમાં પડી જઇ પ્રતિજ્ઞા કરી કે આજથી ચોરી નહી કરીએ. સંતના પ્રભાવથી ચોરો ભક્ત બની ગયા.
ઝેન મહાત્મા અને ચોર
એક રાત્રે ઝેન મહાત્મા સિચિરિ કોજુન મંત્રપાઠ કરી રહ્યા હતા, એટલામાં એક ચોર ખુલ્લી તલવાર સાથે ઘસી આવ્યો અને પૈસા ન આપે તો જીવ લેવાની ધમકી આપી.
'મને ખલેલ ન પહોંચાડ, પેલા ખાનામાં પૈસા છે.'આટલું કહી ને સિચિરિ પાછા મંત્રપાઠ કરવા લાગ્યા. થોડિકવાર પછી તેમણે ચોરને કહ્યું;'બધા પૈસા લઇ ન જતો, થોડાંક રહેવા દેજે, મારે કાલે કોઇ ને ચૂકવવાના છે.' ચોર તો ઘણાખરા પૈસા લઇને જવા માંડ્યો ત્યારે સિચિરિએ તેને કહ્યું;'જે માણસ પાસેથી ભેટ સ્વિકારી તેનો આભાર તો માનવો જોઇએને!' ચોર આભાર માની ને જતો રહ્યો.
થોડાંક દિવસ બાદ ચોર પકડાઇ ગયો અને તેણે બીજા અનેક ગુનાઓની કબુલાત સાથે સિચિરિને ત્યાં ચોરી કરેલી એ વાત પણ કબુલ કરી. જ્યારે સિચિરિને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટતા કરી અને કહ્યું;'મને જ્યાં સુધી લાગે વળગે છેત્યાં સુધી આ માણસ ચોર નથી.મેં તો એને પૈસા આપ્યા હતા અને એણે મારો આભાર પણ માનેલો.'
જેલ માંથી છૂટ્યા બાદ પેલો ચોર મહાત્માસિચિરિનો ચેલો બની ગયો.
****** ****** ****** ******
આમ અવળી જગ્યાએ ચોરી કરવાથી કેટલાય ચોર લોકોએ પોતાનો જુનોધંધો છોડવો પડ્યો છે. આથી એક ચોરના અનુભવી દાદાએ પોતાનાપોતાના નામચીન પુત્રને આખરી શિખામણ આપતા કહેલું કે બેટા! સંતો ભક્તોના આશ્રમો કે ઝૂંપડામાં, રોગીના ખાટલાવાળા ઘરમાં અને તાજા પરણેલા હોય એવા ઘરમાં ભૂલેચૂકેય પગ ન મુકવો, નહીતર તારું ઘર ઉજ્જડ થઇ જશે.
ડૉ.અમૃતલાલ કાંજિયા
હરિપર(ટંકારા)
દીકરી સાથે.......
Monday, June 23, 2008
સમજુ માતપિતાએ દીકરીને પાસે બેસાડીને કેટલીક નિખાલસ વાતો કરવી પડશે.વર્તમાન સમયમાં દીકરીને સમાજની વિકરાળ વાસ્તવિકતા અંગે કશું ન કહેવામાં રહેલું રોકડું જોખમ સમજી રાખવા જેવું છે.નિખાલસ વાતોને કારણે અડધી સમસ્યાઓ તો આપોઆપ ટળી જાય એમ બને.બધી સમસ્યાઓ ન ટળે તોય સંતાનો સાથે નિખાલસ વાતો ભારે મુલ્યવાન સાબિત થતી હોય છે.
દીકરીને વિગતે એક ખતરનાક શબ્દ સમજાવવો રહ્યો.એ શબ્દ છેઃ 'બ્લેકમેઇલ'.ગુંડાઓનું આ પ્રિય શસ્ત્ર છે.માતપિતાએ દીકરીને એવી હૈયાધારણ આપવી પડશે કે કોઇ છોકરા સાથે તારી ગમે તેવી તસ્વીરો અમને જોવા મળે તોય અમે તને તરછોડીશું નહીં.તું બ્લેકમેઇલ કરનારા ગુંડાથી ડરતી રહીને ઊંડા કળણમાં ફસાતી જાય,તેના કરતાં તો અમને બધી વાત જણાવી દે તો એ ગુંડાની અડધી તાકાત ખતમ થઇ જશે.'અમે તને આવી નહોતી ધારી,' એમ બોલીને માથું કૂટનારાં માતપિતાને એક પ્રશ્ન પૂછવા જેવો છેઃ 'તમે દીકરી સાથે જીવનની વાતો માટે કેટલા કલાક ગાળ્યા હતા?'
દીકરી સાસરે જાય તે પહેલાં માતપિતાએ એને કહેવું પડશે કેઃ "ગમે તેવા પ્રતિકુળ સંજોગોમાં પણ આપણું ઘર તારા માટે સદાય ખુલ્લું રહેશે.તું સાસરે જાય પછી એડજસ્ટ થવા માટે બધા પ્રયત્નો કરજે.પરંતુ તને જ્યારે જણાય કે સામે પક્ષે કોઇ જ સમજણ નથી અને ત્યાં રહેવાનું અશકય છે ત્યારે આપણા ઘરે પાછા આવતી વખતે કદી પણ એવું ન વિચારીશ કે તને અહીં કેવો આવકાર મળશે.અમે સમાધાન માટે મથીશું,પરંતુ તને કસાઇવાડે ધકેલીએ એટલાં નિર્દય અમે નથી જ.જરુર પડે તો છુટાછેડા ભલે થાય,પરંતુ તારું જીવન ચીમળાઇ જાય ત્યાં સુધી બધું વેઠ્યે રાખવાની જરુર નથી.તારો વાંક હશે તો અમે ખોટો બચાવ નહીં કરીએ,પરંતુ અમે તને કદીય એક બીભત્સ વાક્ય નહીં સંભળાવીએ કેઃ દીકરી તો સાસરે જ સારી."
જરા વિચારવા જેવું છે.'દીકરી તો સાસરે જ સારી' જેવા વિધાને કંઇ કેટલીય દીકરીઓને અગ્નિની જ્વાળામાં ધકેલી દીધી છે.દીકરી વહાલનાં વલખાં મારતી હોય ત્યારે જ માતપિતા એને આ વાક્ય સંભળાવે તે દીકરીનું શું થતું હશે? કંઇ કેટલીક દીકરીઓ સાસરિયાંના ત્રાસને કારણે મરતી રહે છે, કારણકે પિયરનાં બારણાં માતપિતાએ બંધ કરી દીધાં હોય છે.
માતપિતા સાથે દીકરીનો મનમેળ (rapport) એવો હોવો જોઇએ કે દીકરી પોતાના દિલની બધી વાતો એમને કહી શકે.એક દીકરી પોતાના મનગમતા છોકરા સાથે ડેટિંગ પર જઇ આવી.માતપિતાને જણાવીને એ સાંજના બે-ત્રણ કલાક બહાર રહેલી.પછી તો પરિચય વધ્યો અને બંને રોજ મળતાં થયાં.ડેટિંગ બરાબર જામ્યું અને લગ્નસંબંધ બંધાય એવી શક્યતા પૂરેપૂરી જણાવા લાગી ત્યારે મૂડમાં આવી ગયેલી દીકરીએ પોતાના પપ્પાને કહ્યું, 'પપ્પા! જીવનમાં જેણે આવી સુંદર અને આનંદની પળો નથી માણી તે ગમે તેટલો મોટો માણસ હોય,તો પણ તેના જીવનમાં કશુંક ખુંટે છે તેમ માનવું.' કેટલી દીકરીઓ પપ્પાને આવી સ્પષ્ટ વાત કરી શકશે? આધુનિક દીકરી, આધુનિક પપ્પા ઝંખે છે.એ દીકરીને ટનબંધ ઉપદેશોના પ્રહારોથી પજવવી એ પણ હિંસા છે.સમજણનો સેતુ હોય ત્યારે સમસ્યાઓ પજવે તોય એના નહોરની તીક્ષ્ણતા ઘટી જાય છે.
દીકરીનાં માતપિતાએ દીકરી પ્રત્યે જરા પણ ઓછો પ્રેમ રાખવાનો અધિકાર નથી.વહાલસોયી દીકરીનાં મા-બાપ હોવું એ તો વિશેષાધિકાર (privilege) છે.દીકરી વગરનો પરિવાર અધુરો પરિવાર છે.દીકરી પુત્ર-સમોવડી બની શકે,પરંતુ દીકરો પુત્રી-સમોવડો ન બની શકે.સોનોગ્રાફી પછી દીકરીની ભ્રૂણહત્યા કરાવનારાઓને આ વાત ક્યારે સમજાશે?
ગુણવંત શાહ
ફોરા વરસાદના
Sunday, June 15, 2008
આજે અહીંયા થોડા વરસાદી બાળગીતો મુકું છું આશા છે કે આપ બાળકોને સાથે રાખીને માણશો....
અમે ફોરા વરસાદના ઝીલીએ રે.....
અમે પડતા વરસાદમાં નાહીએ રે... અમે ફોરા
અમે નાહીને પાણી ઉડાડીએ રે........
અમે કાગળની હોડી બનાવીએ રે.... અમે ફોરા
અમે હોડી તળાવમાં મુકીએ રે....
અમે વાદળનું ગીત ગાઇએ રે....અમે ફોરા
અમે માટીના દહેરા બનાવીએ રે......
અમે દહેરા બનાવીને ભાગીએ રે.... અમે ફોરા
અમે તાથા થનક થઈ નાચીએ રે
અમે હા હા હી હી કરીએ રે... અમે ફોરા
વરસો પાણી
વાદળ ! વાદળ !વરસો પાણી ,
મુજને મોજ પડે રમવાની, વાદળ....
ઝુમ ઝુમ વરસો, ઝુમ ઝુમ વરસો,
ઝીણું ઝીણું ઝરમર વરસો,
મોજ પડે ફોરા જીલવાની , વાદળ....
ઠંડક ઠંડક થાય મારે તન,
ઠંડક ઠંડક થાય મારે મન,
નાસી જાય ગરમીની રાણી,
વાદળ ! વાદળ ! વરસો પાણી, વાદળ......
મુજને મોજ પડે રમવાની, વાદળ....
ઝુમ ઝુમ વરસો, ઝુમ ઝુમ વરસો,
ઝીણું ઝીણું ઝરમર વરસો,
મોજ પડે ફોરા જીલવાની , વાદળ....
ઠંડક ઠંડક થાય મારે તન,
ઠંડક ઠંડક થાય મારે મન,
નાસી જાય ગરમીની રાણી,
વાદળ ! વાદળ ! વરસો પાણી, વાદળ......
આવ્યા મેઘરાજા
આવ્યા મેઘરાજા, વગડાવો વાજાં,
પીપ પી પી પીપ પી પી...પોંમ પોંમ....
મોરલાઓ ટહુક્યા, દેડકાંઓ બોલ્યાં,
મેં આવ મેં આવ ડ્રાઉં ડ્રાઉં......
વાદળના કડાકા, તોપના ભડાકા,
ગડ ગડ ગડ ગડ ઘોમ ઘોમ....
મૂશળધાર આવ્યાં, પાણી બહુ લાવ્યાં,
છબછબિયાં ભાઈ છબછબિયાં
પીપ પી પી પીપ પી પી...પોંમ પોંમ....
મોરલાઓ ટહુક્યા, દેડકાંઓ બોલ્યાં,
મેં આવ મેં આવ ડ્રાઉં ડ્રાઉં......
વાદળના કડાકા, તોપના ભડાકા,
ગડ ગડ ગડ ગડ ઘોમ ઘોમ....
મૂશળધાર આવ્યાં, પાણી બહુ લાવ્યાં,
છબછબિયાં ભાઈ છબછબિયાં
રમીએ હોડી હોડી
ચાલો ચાલો ને, રમીએ હોડી હોડી
વરસ્યો વરસાદ ખુબ આજે મૂશળધાર,
ઝરણાં નાનાં જાય દોડી દોડી.........
બાપુનાં છાપાં નક્કામાં થોથાં,
કાપીકૂપીને કરીએ હોડી,
સાદી ને સઢવાળી, નાની ને મોટી,
મૂકીએ પવનમાં છોડી છોડી.......ચાલો......
ખાલી રાખેલી ઉંધી વળે, તો ,
પાંદડાંને ફૂલ ભરું તોડી તોડી...... ચાલો......
જાશે દરિયાપાર પરીઓના દેશમાં,
સૌથી પહેલી દોસ્ત મારી હોડી..... ચાલો......
વરસ્યો વરસાદ ખુબ આજે મૂશળધાર,
ઝરણાં નાનાં જાય દોડી દોડી.........
બાપુનાં છાપાં નક્કામાં થોથાં,
કાપીકૂપીને કરીએ હોડી,
સાદી ને સઢવાળી, નાની ને મોટી,
મૂકીએ પવનમાં છોડી છોડી.......ચાલો......
ખાલી રાખેલી ઉંધી વળે, તો ,
પાંદડાંને ફૂલ ભરું તોડી તોડી...... ચાલો......
જાશે દરિયાપાર પરીઓના દેશમાં,
સૌથી પહેલી દોસ્ત મારી હોડી..... ચાલો......
હવે…….?
Friday, June 13, 2008
કહયું હતું ને મેં તને,
કે વાદળ બનીને વરસ નહીં ?
હવે હું 'ડ્રાઈવ' કઈ રીતે કરું?
કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં
પણતારો ચહેરો જ નજર આવે છે !!!
કે વાદળ બનીને વરસ નહીં ?
હવે હું 'ડ્રાઈવ' કઈ રીતે કરું?
કાચ પર પડી રહેલાં એક-એક બુંદ મહીં
પણતારો ચહેરો જ નજર આવે છે !!!
દિપ્તી પટેલ
વરસાદી વાછંટ
ચાલ હવે તો આનાકાની મૂક,બનીને મૂક આ વરસાદી વાછંટને
ક્યાં સુધી જોતી રહેવાની?
હું સદા રહેવાનો તારી સાથ, કરી વિશ્વાસ, તું પકડે હાથ જો મારા
હથેળીએ કૂંપળ કૂટવાની.
વાત અચાનક શરૂ થાય ક્યાં, વાત અચાનક વધી જાય ક્યાં
એની ક્યાં ખબર પડે છે ?
ઓળખ અમથી હોય શરૂમાં, પછી તો આગળ હળતાં મળતાં
સંબંધને એક નામ મળે છે
તું હોઠે હાથ મૂકે, બંધ આંખ કરે, એક નામ સ્મરે
એ નામ છે કોનું-ની અટકળ બસ ઉકેલવાની
આ કોરાં શમણાં, સુક્કા શ્વાસો, ફિક્કી આંખો જીવી જવાનાં
આ કોરાં શમણાં, સુક્કા શ્વાસો, ફિક્કી આંખો જીવી જવાનાં
એક જો ભીનું ગીત મળે તો
સુખની હરેક પળને હું કુરબાન કરી દઉં, તારા મુખ પર
એક મજાનું સ્મિત મળે તો
આવ કે આ ખુલ્લા આકાશે, રહીને પાસે, એકી શ્વાસે
જીવી જઈએ આશ છોડી કોઈ બીજાની
ચાલ હવે તો આનાકાની મૂક, બનીને મૂક આ વરસાદી વાછંટ
ચાલ હવે તો આનાકાની મૂક, બનીને મૂક આ વરસાદી વાછંટ
ક્યાં સુધી જોતી રહેવાની
—–હિતેન આનંદપરા
વરસાદ
કેટલી માદકતા સંતાઇ હતી વરસાદમાં !
મસ્ત થઇ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ!
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ!
કેટલી ઝાંખી પડી ગઇ ચાંદની વરસાદમાં !
કોઇ આવે છે ન કોઇ જાય છે સંધ્યા થતાં!
કેટલી સૂની પડી ગઇ છે ગલી વરસાદમાં !
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં!
.લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.!
આદિલ
નકલી
Wednesday, June 11, 2008
વરસાદ બોલાવે તને, તું આવશે?
મુજ હાથને શું, હાથ તારો ઝાલશે?
રેઇનકોટી જિંદગી તું જીવતો,
બે ઘડી હું ભીંજવું તો ચાલશે?
તું આમ તો આવે નહીં મારા કને!
લે પ્રેમ નું ઈજન, હવેતો ફાવશે?
કેટલા ચોમાસા કોરા કટ ગયા!
આ સાલ તો એ લાજ તારી રાખશે ?
શાને દુકાળો આવતાં, એ સોચ તું!
સીમેન્ટી ફાગો, જો અહીયાં ફાલશે!
કોંક્રીટના જંગલ મહીં અટવાઉં છું,
ચેતન! હવે તો રાહ કોઈ કાઢજે…
ચેતન ફ્રેમવાલા
ગઝલ
કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ ?
એક નદી કાંઠાઓ પાછા તોડવા
એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.
ગુર્જરીના આભમાં ડોકાઈ જ્યાં
ગુર્જરીના આભમાં ડોકાઈ જ્યાં
કે ગઝલ ચોમેરથી પોંકાઈ ગઈ.
કેમ ?
આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?
જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?
તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,
તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,
તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?
તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,
તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,
તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?
તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,
તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,
તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?
સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?
ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?
વરસાદ
ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં,
શાને ગભરાય છે સખી બુન્દ એકાદમાં.
ઝબુકે જો વિજળી તો મુજ મહી લપાજે
ને થરથરે બે બદન કયા ઝબકારે આજે?!
છે ધરતી મેઘનું મિલન વર્ષો બાદમાં
. ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં....
મેઘ ગરજશે, મોર ટહુકશે ને હશો તમે યાદમાં
ચાલને ભીંજાઈએ સખી આ વરસાદમાં
ગિરીશ જોશી
Subscribe to:
Posts (Atom)


