રાષ્ટ્ર અને મહાનુભાવો !!!!
Thursday, December 18, 2008
ભારતમાં લોકશાહી છે પણ આ લોકશાહી માં વાણી સ્વાતંત્ર્ય અધીકાર નો દુરૂપયોગ થાય છે કોઇ પણ ક્ષેત્રના મહાનુભાવ પોતાને મન-મરજીને માફક આવે તેવા નિવેદનો કરે છે. આવા ઘણા નિવેદનોમાં માત્ર કલ્પના જ હોય છે આવા નિવેદનો પાછળ કોઇ મુળભુત પાયો હોતો જ નથી. આવા નિવેદનો રાષ્ટ્રનું કોઇ પણ દ્રષ્ટીકોણથી હીતકારક નથી હોતા, આવા જવાબદાર વ્યક્તિ તરફથી થતા નિવેદન સાથે તેની અસર થાય તેની સંપુર્ણ જવાબદારી જે તે નિવેદન કરનાર વ્યક્તિની જ હોવી જોઇએ અને તેને સાબીત કરવાની કાયદાકીય ફરજ પડે તેવી જોગવાઇ હોવી જોઇએ... તેનુ તાજું ઉદાહરણ આપણા કોંગ્રેસના મહાનુભાવ એ.આર.અતુલે દ્વારા કરવામાં આવેલ માનનિય શહીદ શ્રી કરકરે જી ની શહીદીને કાવતરામાં ખપાવી.....
આપણા દેશના એનએસજી ના કે બ્લેક કેટ કમાન્ડો નું રક્ષણ રાજકીય આગેવાનો ને રાષ્ટ્ર કે રાજ્યના ખર્ચે મળે છે સાથે પોતે રાષ્ટ્ર કે રાજ્ય તરફથી વેતન અને અલગ અલગ ભથ્થા તો લે જ છે તો આ બધી સુરક્ષા માટે સરકાર તરફ્થી મળતા ભથ્થામાંથી કપાત કરવી જોઇએ અથવા તેમની પાસેથી જ વસુલ કરવી જોઇએ. ઘણા આગેવાનો ને રક્ષણ મેળવવાની જરૂરીયાત પોતાની બેફામ વાણી અને વર્તણુક ની આડઅસર ના પરીણામ સ્વરુપે જ હોય છે. ઘણા નેતા પોતાનો માન મરતબો આ રક્ષણ ની વ્યવસ્થા પરથી નક્કી કરે છે, તેનુ તાજુ ઉદાહરણ આપણા કેન્દ્ર માં પ્રધાન શ્રી છે.... આ મહાનુભાવ Y+ દરજ્જા ની સલામતી કવચ હતુ પણ ખોટી રજુઆત કરી ને Z+ સલામતી કવચ લીધુ. કેમ કે એક કમાન્ડો તૈયાર કરવામાં લાગતા સમયની કિંમત, માળખાકીય સુવિધા અને તેના વેતન ની ગણતરી કરીએ તો આવો જંગી સલામતી ખર્ચ આપણા વિકાશશીલ દેશને પરવડે ખરો?
આ વિચારો મારા પોતાના છે અને આ અંગે આપની કોમેન્ટ મારા માટે અગત્યની છે તો મને આપની કોમેન્ટ આપવા નમ્ર વિનંતી છે.
અશોક કૈલા
ક્યાં ગયા?
Wednesday, December 17, 2008
મોત જેવા મોતને પડકારનારા ક્યાં ગયા?
શત્રુના પણ શૌર્ય પર વારી જનારા ક્યાં ગયા?
*
લોભ લાલચથી નજરને ચોરનારા ક્યાં ગયા?
પ્રાણ અર્પીને પરાર્થે પોઢનારા ક્યાં ગયા?
*
ધ્યેયની ખાતર ફનાગીરી સ્વીકારીને સ્વયં-
કાળ સામે આંખને ટકરાવનારા ક્યાં ગયા?
*
વિશ્વના વેરાન ઉપવનને ફરી મહેકાવવા
જિંદગીના જોમને સીંચી જનારા ક્યાં ગયા?
*
ગર્વમાં ચકચૂર સાગરની ખબર લઇ નાખવા
નાવડી વમળો મહીં ફંગોળનારા ક્યાં ગયા?
*
મોજ માણો આજની, ના કાલની પરવા કરો!
-એમ અલગારી બનીને જીવનારા ક્યાં ગયા?
*
રંગની છોળો ઉછાળી રોજ મયખાના મહીં
'વિશ્વરથ'ના સંગમાં પાગલ થનારા ક્યાં ગયા?
જંયતીલાલ દવે 'વિશ્વરથ'
ચિંતન
આઇન્સ્ટાઇન એક વિજ્ઞાની મિત્ર બર્લિનના તેમના નિવાસસ્થાને મળવા આવ્યા હતા. વાતચીત દરમ્યાન બન્ને મિત્રો એ પોટ્સડેમ પુલ પાસે આવેલી એક વેધશાળા જોવા જવાનું વિચાર્યું. તેનો દિવસ અને સમય નક્કી કર્યા બાદ પુલના અમુક છેડે ભેગા થવાનું ઠરાવ્યું.
પેલા મિત્ર બર્લિન શહેરના અજાણ્યા હતા. પોતાની મુશ્કેલી જણાવતાં એમણે કહ્યું, "કદાચ હું ઠરાવેલા સમયે ન પહોંચી શકું તો?"
આઇન્સ્ટાઇનઃ "અરે! તેથી શો ફેર પડવાનો હતો? તમારી રાહ જોતો પુલનાં છેડે ઊભો રહીશ."
મિત્રને સંકોચ થયોઃ "એમ તો તમારો ઘણો સમય બગડે."
આઇન્સ્ટાઇનઃ "મારા સમયની ચિંતા ન કરો, જે જાતનું કામ હું રોજ કરું છું તે હું ગમે ત્યાં કરી શકું તેમ છું."
એ જવાબથી પણ મિત્ર ને સંતોષ ન થયો. વિવેક ખાતર આઇન્સ્ટાઇન આમ કહેતા હશે એમ માની તેમણે પૂછ્યું: " ત્યાં પુલના છેડે ઊભા ઊભા તમારું રોજિંદુ કામ તમે કેવી રીતે કરી શકો, તે મને સમજાતું નથી!"
આઇન્સ્ટાઇને હસતા હસતા કહ્યું: " અરે, એ તો સાવ સહેલુ છે. અભ્યાસખંડમાં બેસીને વિજ્ઞાનના કોયડાઓ પર જો હું ચિંતન કરી શક્તો હોઉ તો પોટ્સડેમ પુલને છેડે ઊભો ઊભો એ જાતનું ચિંતન કરવાને હું ઓછો શક્તિમાન છું એમ તમે શા માટે માનો છો?"
ખાટી રે આંબલીથી
ખાટી રે આંબલીથી કાયા મંજાણી,
એને તેજને કિનારે એણે આણી રે
પાંપણની પાંદડીના ઓરા તે અંતરાયે
પેલી બાજુનું કૈં ન જોયું,
*
નિજ સંગાથ જેનું મન ઘેલું મોહ્યલું,
રે પરની પ્રીત્યું ના એણે જાણી રે
પંડને પંપાળવામાં મોંઘેરાં ચીર કેરા
રંગ રે નિહાળ્યા ઓઘરાળા
*
એને અંજવાળવાને ઓછી રે તેજમાળા,
ઓછાં રે જાહ્નવીનાં પાણી રે
ખાટી રે આંબલીને ભીને તે સંગ
ઝાંખી કાયાનો કાટ લીધો માંજી,
*
તેજને અંજન એવું રૂપ લીધું આંજી,
રે ઝળહળ દુનિયા ઝિલાણી રે.......
રાજેન્દ્ર શાહ
ભાઇ-બેન
હું રે બનું, બેન! વાડીનો મોરલો,
આંબાની કોયલ તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.
*
હું રે બનું, બેન! રૂડો ડોલરિયો,
મીઠી ચમેલડી તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.
*
હું રે બનું, બેન!બાનો ઘડૂલો!
બાની ઇંઢોણી તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.
*
હું રે બનું, બેન! બાપુનો રેંટિયો,
બાપુની પીંજણ તું થા રે, બેન!
તું મારી બેન ને હું તારો ભાઇ.
સુન્દરમ્
આશા
સમજણ સમજીને બહું થાકી આજે,
કોઈ મને પણ સમજે એવું મળે હવે.
દિલ નાજુક નાનું આશાઓથી છલકે,
મોટી વાતો ભલેને હડસેલી બાજુએ.
રોજ આઈનામાં તિરાડો ધીમેથી પ્રસરે,
એના વિખરાટનૉ ડર કોઈ કેમ ના સમજે???
સ્નેહા- અક્ષિતારક.
૧૪-૧૨-૦૮.
મારાં વિશે કંઈ બહું કહેવા કે સમજાવી શકું એવું ખાસ કંઈ છે નહીં મિત્રો. એક સીધી સાદી ગ્રુહિણી છું બસ્.. ગર્વી ગુજરાતણ. મને મારાં ઘરનાં સદસ્યો પર ખૂબ પ્રેમ છે.બીજાં નાનાં મોટા થોડા શોખ છે. જેમકે - ગઝલો વાંચવાનો, થોડું ઘણું લખવાનો પણ પ્રયત્ન કરું છં અને મારાં મિત્રો સાથે એ લખેલું એમને સંભળાવીને આનંદ લઉં છું. મારાં મિત્રો પણ ઘણાં સારા છે બસ એ મને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપે છે એથી જ હું વધુ ને વધુ લખવા માટે પ્રેરાઉ છુ. હજી બહુ આવડ્તું નથી કંઈ બસ જે જીવન સમજું છું અનુભવું છું એ લખી કાઢું છું. આશા છે તમે પણ મારો અભિગમ સમજી શકશો.
Subscribe to:
Posts (Atom)