સહી નથી – જલન માતરી
Monday, December 5, 2011
મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી,
ત્યાં સ્વર્ગ નાં મળે તો મુશીબતના પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
ડુબાડી દઈ શકું છુ ગળાડૂબ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
0
comments
Subscribe to:
Post Comments (Atom)