Saturday, January 31, 2009
પ્રાથમીક સારવારમાં અંહીયા આપણે રક્તસ્ત્રાવ અને તેના ઇલાજ ની માહિતી આપી છે.
સામાન્ય નાની ઇજાઓમાંથી જ્યારે લોહી વહે છે ત્યારે લોહીની આપોઆપ ગંઠાઇ જવાની પ્રકૃતિને કારણે થોડી જ વારમાં લોહીનો ગઠ્ઠો થઇ જાય છે અને ત્યાંથી વધુ લોહી નીકળતું નથી. મોટી ઇજાના કારણે મોટી રક્તવાહિની કપાઇ ગ ઇ હોય ત્યારે લોહી ઝડપથી અને વધુ નીકળે છે ત્યારે રક્તસ્ત્રાવ ઝડપથી અટકાવવો જરૂરી બને છે. રક્તસ્ત્રાવ અટકાવવા નીચે દર્શાવેલ મુખ્ય બે રીતો અજમાવી શકાય:
૧) ઝખમ ઉપર સીધું દબાણ આપીને :
આ એક સૌથી સરળ અને અસરકારક ઉપાય છે, જે ભાગમાંથી લોહી નીકળતું હોય તે ભાગ પર ચોખ્ખું કપડું મુકી દબાવવુ જોઇએ અથવા જંતુ રહીત કાપડ મળી શકે તેમ હોય તો તે મુકીને જોરથી પાટો બાંધી દેવો જોઇએ. પાટો બાંધ્યા બાદ એ ભાગને હ્રદયની સપાટીથી ઊંચો રાખવામાં આવે છે.
૨) ટૂર્નિકેટ બાંધવું :
રક્તસ્ત્રાવ ઉપર આપેલ ઇલાજથી બંધ ના થાય તો ઇજાગ્રસ્ત ભાગથી હ્રદય તરફના ભાગે પાટો, રબ્બર કે કપડાંનો ટુકડો કસીને બાંધવો જોઇએ, આવા પાટાને ટુર્નિકેટ કહેવાય. ટુર્નિકેટ ૪૫ મિનિટમાં છોડી નાખવું જોઇએ.
(આરોગ્યની આસપાસ માંથી)
મિત્ર તથા પડોશી પસંદગી બહુ અઘરી છે. અનેક લોકો તમારી પાસેથી પોતાનું કામ કઢાવવા તૈયાર હોય છે, પરંતુ એમનું કામ પતી ગયા પછી કોઈ તમને મદદ નહિ કરે. તેથી વ્યક્તિનું ચારિત્ર્ય, ટેવો, સંગ, શિક્ષણ વગેરેનો પૂરતો અભ્યાસ કર્યા પછી જ ખૂબ સાવધાનીથી મિત્રની પસંદગી કરવી જોઈએ. તમારો મિત્ર ઉદાર, બુદ્ધિમાન, પુરુષાર્થી અને સત્યપરાયણ હોવો જોઈએ. વિશ્વાસપાત્ર મિત્ર એક દિવ્ય ઔષધી છે. આપણે આપણા મિત્રો પાસે એવી આશા રાખવી જોઈએ કે તેઓ આપણા ઉત્તમ સંકલ્પોને દ્રઢ બનાવવામાં મદદરૂપ બનશે, દોષો અને ભૂલોથી આપણને બચાવશે તથા આપણી સત્યતા અને પવિત્રતાને પુષ્ટ કરશે. જો આપણે કુમાર્ગે જઈએ તો આપણને પાછા વાળશે. સાચો મિત્ર માર્ગદર્શક, વિશ્વસનીય અને સાચી સહાનુભૂતિવાળો હોવો જોઈએ.
આ જવાબદારી એ જ મિત્ર પૂરી કરી શકે કે જે દ્રઢચિત્ત અને સત્ય્પરાયણ હોય. જેમનામાં આત્મબળ હોય એવા જ મિત્રોનો સાથ લેવો જોઈએ, જેમ કે સુગ્રીવે રામનો સાથ લીધો હતો.
મિત્ર પ્રતિષ્ઠિત, શુદ્ધ હ્રદયવાળો, મૃદુલ, પુરુષાર્થી, શિષ્ટ અને સત્યનિષ્ઠ હોવો જોઈએ કે જેની પર આપણે વિશ્વાસ મૂકી શકીએ કે તે આપણેને છેતરશે નહિ. આવો સાચો મિત્ર મળવો તે આપણું સદાભાગ્ય છે.
કાંતિલાલ કરશાળા
જેતપુર
માનનીય શ્રી કાંતિલાલભાઇ ગાયત્રી પરિવાર સાથે સંકડાયેલ છે અને તેઓનો એક ખુદનો બ્લોગ છે
ગાયત્રી જ્ઞાન મંદિર પર ક્લિક કરવાથી તેમનો બ્લોગ ખુલશે. આ લેખ આપવા માટે હું માનનીય કાંતિલાલભાઇ નો આભારી છું. અને આશા રાખું છું કે સતત આપણને આવું સરસ વાંચન આપતા રહે.... અશોક
શું આખો દિવસ કટ કટ! માથુ પક્વી નાખે આ કટ કટ!
શાની છે આ કટ કટ! શું છે આ કટ કટ!
લમણાં લેતી આ કટ કટ! કાન પકવતી આ કટ કટ!
જગડાં કરાવતી આ કટ કટ! હસવું આવે એવી આ કટ કટ!
થોડી વેળા હોય તો સમજ્યા પણ આખો દી' આ કટ કટ!
ગળુ ઘસાઇ જાય તો યે કટ કટ! સતત ચાલુ જ રહેતી આ કટ કટ!
છે ને કોની આ કટ કટ! આ તો મારા દાદીની છે આ કટ કટ!
વૈશ્વિ અમીન
૨૮/૦૧/૨૦૦૯
આ વૈશ્વિબેન એક નાની ઉમર (૧૪વર્ષ) ના બાળ કવિયત્રિ છે અને હાલ તેઓ પરિવાર સાથે ન્યુઝીલેન્ડ છે. આપણને વૈશ્વિ બેન પાસેથી ભવિષ્યમાં સારી કવિતા માણવા મળશે એવી આશા સાથે... અશોક
Wednesday, January 21, 2009
તારીખ : આજની જ.
પ્રતિ, તમોને જ
વિષય : જિંદગી અને તમે
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય
.
અને છેલ્લે…. હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાનની આશિષ.
Monday, January 19, 2009
જન્મ :- એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
બચપન :- મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
તરુણાવસ્થા :- કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે, મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
યુવાવસ્થા :- બંધ આંખોનું સાહસ છે, જોશછે...ઝનૂન છે, નાથવાની ઉમ્મીદો છે,..કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
પ્રૌઢાવસ્થા :- ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
ઘડપણ :- વિતેલા જીવનનો સરવાળો છે, મારા આપણાનો વહેવાર જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
મરણ :- જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે, સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે..
સાત પગલા પૂરા થશે.....
રશ્મિકા ખત્રી
Friday, January 16, 2009
પૌંઆ ના પકોડા
સમય -15 મીનીટ
સામગ્રી –
250ગ્રામ પૌંઆ 2 નાના બાફેલા બટાટા આદુ મરચાં સ્વાદ અનુસાર
મીઠું લીંબું નો રસ સાકર એક નાની ચમચી 2 સ્લાઈસ બ્રેડ 2 ચમચી આરાલોટ ચાટમસાલો 1 ચમચી
રીત-
પૌંઆ ને 10 મીનીટ પલાળો તેમાં બટાટા અને બીજી સામગ્રી મિક્સ કરો તેના નાના ચપટા ગોળા વાળો હવે ગરમ તેલ માં તળી લો પેપર નેપ્કીન પર મુકો, ગ્રીન ચટની અને ટોમેટૉ કેચઅપ સાથે ગરમ ચટપટ્ટા વડા ની મૌજ માણો
પ્રાચીબેન વ્યાસ તરફથી
Wednesday, January 14, 2009
અહીં અમે ગુજરાતીમાં
સરલ ને ઘરગથ્થુ ઉપચાર માટેની એક pdf ફાઇલ મુકી છે. આપ આ ફાઇલ ડાઉનલોડ કરી ને વાંચી શકશો.
.
આ ફાઇલ મને પ્રાચીબેન વ્યાસ દ્વારા મોકલવામાં આવી હતી અને આ ફાઇલ ને બ્લોગ પર મુકવા માટે તકનીકી જાણકારી જીગ્નાબેન વ્યાસ અને શિવાંશભાઇ તરફથી મળેલ, આ માટે હું પ્રાચીબેન, જીગ્નાબેન અને શિવાંશભાઇનો ખુબખુબ આભારી છું.
.
નોંધઃ-આ દેશી દવાનું પરીણામ બધાની તાસીર પર નિર્ભર કરે છે. માટે પોતાની તાસીરને અનુકુળ હોય તો જ દેશી દવાનો પ્રયોગ કરવો. આ માહિતી ફક્ત જાણકારી માટે મુકવામાં આવી છે અને કોઇ પણ પરીણામ માટે અમે બ્લોગર કે અન્ય કોઇ જવાબદાર નહી હોય.
અશોક
એડવાન્ટેજ ગુજરાત
ભારત નો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયાકાંઠો
સૌથી વધુ ૪૨ બંદર
રાજયમાં ૧૩ એરપોર્ટ
૫૫ સેઝ
૮૩ કલસ્ટર્સ ઉત્પાદન
૨૨૦૦ કિ.મી. ગેસ ગ્રીડ
વિશ્વમાં ત્રીજુ મોટું ડેનીમ ઉત્પાદક
નર્મદા કેનાલ એ વિશ્વની સૌથી મોટી સિંચાઇ કેનાલ
વિશ્વમાં ઇસબગુલનું સૌથી વધું ઉત્પાદન
વિશ્વનું સૌથી મોટું ડાયમન્ડ પ્રોસેસીંગ હબ
રિલાયન્સ-જામનગર રિફાઇનરી એ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી.
રાષ્ટ્રમાં ગુજરાતનું પ્રદાન
વસતી - ૫%
ભૌગોલિક વિસ્તાર - ૬ %
કર્મચારી ૯.૫ %
ફેક્ટરીઓ - ૯.૯%
નેટ વેલ્યુ - ૧૪ %
વેલ્યુ ઓફ આઉટપુટ - ૧૫.૬%
ફિકસ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ - ૧૭%
નિકાસ- ૨૧ %
દરિયાકિનારો - ૨૬ %
ગ્રામ્યકરણ - ૩૭.૪%
સોડાએશ નું ઉત્પાદન - ૯૮%
મીઠાનું ઉત્પાદન - ૮૫ %
હીરાનું કામકાજ - ૮૦ %
પેટ્રોલિયમ ઉત્પાદનો - ૫૮ %
કેમિકલ્સ - ૫૦ %
મગફળી - ૪૨.૩ %
દવાઓ નું ઉત્પાદન - ૪૦%
કપાસ - ૩૫%
દરીયાઇ પરિવહન - ૨૫ %
ટેક્સટાઇલ - ૧૮ %
(ફુલછાબ દૈનિકમાંથી)
Monday, January 12, 2009
જાણીતા વિમ્બલ્ડન ટેનિસ ખેલાડી આર્થર એશ પર 1983માં હાર્ટ સર્જરી થયેલી ત્યારે લોહી ચડાવવામાં આવ્યું. તેમાંથી કમનસીબે એઇડ્સનો રોગ લાગુ પડ્યો.
એની અંતિમ અવસ્થામાં કોઇકે પૂછ્યું , “ તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યોમાંથી ભગવાને આવા રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી?” આર્થર એશનો જવાબ કોઇ મહાત્માને શોભે તેવો હતો. એણે કહ્યું , “ આ દુનિયામાં પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે. તેમાંથી પચાસ લાખ બાળકો ખરેખર ટેનિસ શીખે છે. તેમાંનાં પચાસ હજાર ટેનિસ નિયમિતપણે રમે છે. તેમાંથી પાંચ હજાર જેટલા લોકો જ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. એમાંથી ફક્ત પચાસ ખેલાડીઓ જ વિમ્બલ્ડન સુધી પહોંચે છે અને એમાંના ફક્ત ચાર જ સેમીફાઇનલમાં પહોંચે છે. એમાંથી બે જણા ફાઇનલ રમે છે અને માત્ર એક જ જીતે છે. એ એક હોવાનું ગૌરવ જ્યારે મને મળ્યું ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું કે આવા ગૌરવ માટે કરોડોમાંથી તેં મને જ કેમ પસંદ કર્યો ?”
બીજાની કાળજી લેવાની એક અનોખી સ્પર્ધામાં વિજેતા બનેલા ચાર વરસનાં એક છોકરાની આ વાત છે.
એની પાડોશમાં મોટી ઉંમરના એક ભાઇ રહેતા હતા. એ એકલા હતાં. થોડા વખત પહેલાં જ એમનાં પત્નિ ગુજરી ગયાં હતાં. એકવાર આ અંકલને રડતા જોઇને એ છોકરો એમની પાસે ગયો અને એમનાં ખોળામાં બેસી ગયો. એનાં મમ્મીએ આ જોયું.
એ છોકરો ઘરે પાછો આવ્યો ત્યારે મમ્મીએ એને પુછ્યું: "તેં અંકલને શું કહ્યું હતુ ?"
"મેં એમને કાંઈ કહ્યું ન હતું. મેં તો બસ એમને રડવામાં મદદ કરી." છોકરાએ કહ્યું.
Thursday, January 8, 2009
એક વખત એક માણસ પોતાનાં દુઃખોથી અતિશય કંટાળી ગયો. રાત-દિવસની મગજમારી, પત્ની સાથે અણબનાવ, છોકરાંવની નિશાળ, ટ્યૂશન, પરીક્ષાઓ, એમને ક્યાં ગોઠવવાં એની માથાકૂટ, ધંધામાં ચડતી-પડતી, વ્રૂદ્દ માતા-પિતાની માંદગી અને એવા તો બીજા અનેક પ્રશ્નો અને જવાબદારઓનું પોટલું ખભા પર ઉપાડીને ચાલતાં એ બિલકુલ ત્રાસી ગયો હતો. એને જિંદગીમાં ચારે તરફ અંધારું જ અંધારું દેખાતું હતું. ટૂંકમાં, આટલો બધો બોજો ઉપાડીને એ ગળે આવી ગયો હતો. એટલે એણે જિંદગી ટૂંકાવી દેવાનુ નક્કી કરી નાંખ્યું. આપઘાત કરવાના ઇરાદાથી એક વખત ઘરે કોઇ નહોતું ત્યારે મોકો જોઇ એણે ઘેનની ગોળીઓ ગળી લીધી. હવે મરવા માટે જેટલી ગોળીઓની જરૂર પડે તેનાથી ડોઝ થોડો ઓછો રહી ગયો હશે એટલે એ માત્ર ઊંડી ઊંઘમાં સરકી ગયો.
અચાનક એને લાગ્યું કે એની આજુબાજુ જાણે દિવ્ય પ્રકાશ ફેલાઇ ગયો છે. જે તરફથી એ એદૂભુત પ્રકાશ આવતો હતો એ બાજુ એણે નજર કરી. જોયું તો પરમ ક્રુપાળુ પરમાત્મા અતિ તેજસ્વી ચહેરા સાથે મંદ મંદ હાસ્ય વેરતાં ઊભા હતા. જેવી બંનેની આંખો મળી કે તરત જ એ બોલ્યા, 'દીકરા! મારા વહાલા સંતાન! હું બોલાવું તે પહેલાં મારી પાસે આવવાની ઉતાવળ તને શા માટે થઇ આવી છે?''હે પ્રભુ! મને માફ કરજો. હું તમારી પાસે આવવાની ઉતાવળ કરું છું તેના માટે ક્ષમા કરજો. પરંતુ જિંદગીનું એક પગલું આગળ માંડી શકવાની ત્રેવડ હવે મારામાં રહી નથી. મારી જવાબદારીઓ અને ચિંતાઓ અને દુઃખોનું આ પોટલું તમે જોયું? હવે એનો ભાર વેંઢારવાની શકતિ કે હિંમત એ બેમાંથી એકેય મારામાં રહ્યાં નથી. એટલે હું મારી જિંદગી પૂરી કરી દેવા માંગું છું.' પોતાના ખભા પરના મોટા પોટલા સામે આંગળી ચીંધી એણે ભગવાનને કહ્યું.'પણ મેં તો તમને સૌને તમારી બધી જ ચિંતાઓ મને સોંપી દેવાનું કહ્યું જ છે. તું પણ તારી ચિંતાઓ મને સોંપીને હળવો કેમ નથી થઇ જતો?' ભગવાન હસ્યા.'પણ ભગવાન! તમે મને જ શું કામ સૌથી ભારે પોટલું આપ્યું છે? મેં તો મારા પોટલા જેટલો ભાર ક્યારેય કોઇના ખભે જોયો નથી!' રડમસ અવાજે એ માણસે ફરિયાદ કરી.'મારા દીકરા! આ દુનિયામાં દરેકેદરેક વ્યક્તિને મેં કંઇક ને કંઇક બોજો ઉપાડવા આપેલ જ છે. અને એ ફરજિયાત છે. જો! અહીંયાં તારા ઘણા આડોશી-પાડોશીઓના પોટલાં પડયાં છે. તને એવું લાગતું હોય કે તારું પોટલું જ મેં સૌથી ભારે આપ્યું છે તો તું એના બદલે આમાંથી બીજું લઇ શકે છે. બોલ એવી અદલા-બદલી કરવી છે?' માર્મિક હસતાં ભગવાને કહ્યું.
નવાઇના ભાવો સાથે પેલા માણસે ભગવાનનાં ચરણ પાસે પડેલાં પોટલાંઓ તરફ નજર નાંખી. બધાંજ પોટલાંઓનું કદ પોતાનાં પોટલા જેટલું જ હતું. પણ દરેક પોટલા પર એક નામ લખાયેલું હતું. જે વ્યક્તિનું પોટલું હોય તેનું નામ-સરનામું એ પોટલા પર લખાયેલું હતું. સૌથી આગળ પડેલા પોટલા પરનું નામ એણે વાંચ્યું. એના પોતાના જ ઘરની બાજુમાં રહેતી એક સુંદર અને ખૂબ જ સુખી દેખાતી એક પૈસાદાર સ્રીનું નામ એના પર લખેલું હતું. એ સ્ત્રીનો પતિ ખૂબજ મોટો ઉધ્યોગપતિ હતો. એના ઘરની સમ્રૂદ્દિની તો રેલંછેલ રહેતી. ઘરની દરેક વ્યક્તિ માટે એ લોકો અલગ અલગ કાર જ વાપરતાં અને એ પણ પાછી ઇમ્પોર્ટેડ! એ સ્ત્રીની દીકરીઓ મોંઘાંદાટ પોશાકો અને અત્યાધુનિક ઘરેણાં જ પહેરતી. કોલેજમાં ભણતો એનો દીકરો દર મહિને એની કાર બદલાવતો. ઉનાળાની ગરમીનો એક મહિનો એ સ્ત્રી અને એનું કુટુંબ સ્વિટ્ઝર્લેન્ડમાં જ વિતાવતાં. આ સ્ત્રીનું પોટલું લેવાનો પેલા માણસને વિચાર આવ્યો. એણે પોતાનું પોટલું બાજુમાં મૂકીને એ સ્ત્રીનું પોટલું ઉપાડ્યું. પણ જેવું એણે એ પોટલાને ઊંચું કર્યું કે એને ખૂબ નવાઇ લાગી. એ સ્ત્રીનું પોટલું હળવું હોવાને બદલે એના પોતાના પોટલા કરતાં બમણું ભારે હતું. માંડમાંડ એણે એ પાછું મૂકયું પછી ભગવાન સામે જોઇને પૂછયું, 'ભગવાન! આટઆટલી સુખસાહ્યબીમાં રહેતી આ સ્ત્રીનું પોટલું તો પીછાં જેવું હળવું હોવું જોઇએ, તેના બદલે એ આટલું બધું ભારે કેમ? મને આ સમજાયું નહીં!''ન સમજાયું હોય તો તું જાતે જ એ ખોલીને જોઇ લેને!' એ જ માર્મિક સ્મિત સાથે ભગવાને કહ્યું.પેલા માણસે પોટલું ખોલ્યું. બહારથી ખૂબ જ સુખી અને અતિ વૈભવશાળી જીવન જીવતી એ સ્ત્રીના પોટલામાં રાતદિવસ ઘરમાં કુટુંબીજનો સાથે ચાલતો કંકાસ દેખાણો. એ સ્ત્રીનો પતિ દારૂડિયો હતો. એ ધંધાના બહાને દેશવિદેશમાં રખડતો રહેતો અને કંગાળ જીવન જીવતો હતો. જેના કારણે તે ભયંકર રોગોથી પણ પીડાતો હતો. પેલી સ્ત્રી પણ માનસિક રીતે અત્યંત દુઃખી હતી. બન્ને પતિ-પત્નિ ગુપ્ત રીતે લાખો રૂપિયા એ રોગોની સારવાર પાછળ ખરચતાં હતાં. એનો દીકરો એક દાણચોર સાથે સંબંધ ધરાવતો હતો. તો એ સ્ત્રીની દીકરી બિચારી મગજના કેન્સરથી પીડાતી હતી ... બસ! એણે ઝડપથી પોટલું બંધ કરી દીધું. એ આગળ જોઇ ન શકયો. એનાથી બોલાઇ જવાયું, 'ભગવાન! બહારથી અત્યંત શ્રીમંત અને ખૂબ સુખી લાગતી સ્ત્રીનું જીવન આટલી બધી યાતનાઓથી ભરેલું છે? હું કલ્પના પણ નથી કરી શકતો!'.
ભગવાન હસી પડયા, કહ્યું, 'મેં તને કહ્યું ને! દરેકની માથે પોટલું હોવું ફરજિયાત હોય છે. છતાં બીજાનું પોટલું તમને હળવું જ લાગે છે, કારણ કે એ તમારા ખભા પર નથી હોતું. હજુ પણ તારે બીજા કોઇનું પોટલું જોઇને એ લેવું હોય તો તને છુટ્ટી છે!'એ માણસ જેને જેને સુખી અને ખુશકિસ્મત માનતો હતો એમનાં નામ જોઇ જોઇને એણે પોટલાં ખોલી જોયાં. પણ નવાઇ પમાડે એવી વાત એ બની કે એ દરેક વ્યક્તિનું પોટલું એને વધારે ભારે અને પોતાથી અનેક ગણી વધારે વિટંબણાઓથી ભરેલું દેખાયું. એક એક કરીને ઘણાં બધાં પોટલાં એ ફંફાસતો રહ્યો અને એ વખતે મંદ મંદ હાસ્ય વેરતા ભગવાન એકદમ શાંતિથી ઊભા હતા.
ખાસ્સી વાર પછી અચાનક જ એણે પોટલાં ફંફોસવાનું બંધ કરીને હળવાશ સાથે કહ્યું, 'પ્રભુ! મને મારું જ પોટલું આપી દો. લાગે છે કે એ જ આ બધામાં સૌથી હળવું છે!''એવું છે? તો પછી તને જિંદગી ટૂંકાવી નાંખવી પડે એટલો બધો ભાર શેનો લાગે છે? જોઇએ તો ખરા કે એમાં શું ભરેલું છે? તારું પોટલું ખોલ જોઉં!' ભગવાને કહ્યું.એ માણસે પોતાનું પોટલું ખોલ્યું. અંદર કુટુંબીજનોનો પ્રેમ હતો, મિત્રોની લાગણી હતી, થોડા પૈસા હતા અને થોડા ઘરેણાં હતા. તેમજ સાવ નાનકડા કહી શકાય તેવા પ્રશ્નોરૂપી પથ્થરો હતા!'દીકરા!' અત્યંત માયાળુ અવાજે ભગવાને કહ્યું, 'વરસોથી તું આ પ્રેમ અને લાગણીઓ વચ્ચે તેમજ પૈસા અને ઘરેણા સાથે રહેતો હતો, તો પણ તને આપઘાત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? કદાચ તું કુટુંબીઓના પ્રેમનો અનુભવ નથી કરી શક્યો કે મિત્રોની લાગણીને નથી પિછાની શકયો. હવે તું દુનિયામાં પાછો જા, સહુની પ્રેમથી સારસંભાળ લે અને થોડો સમય કાઢી અને મારા એવા સંતાનો કે જેને જિંદગીએ કાંઇ નથી આપ્યું એવા દીનદુખીયાની તારાથી બની શકે તેટલી તન, મન, ધનથી સેવા કર. હું તને ખાતરી આપું છું કે આ સહુનો આનંદ જોઇને તારા આત્માને જે સુખ અને શાતા મળશે તે તને દુન્યવી દોલતથી તથા સુખ સાહ્યબીથી ક્યારેય પ્રાપ્ત નહીં થાય. ઉપરાંત આમ કરવાથી તારા ખભા પરનાં પોટલાનું વજન પણ ઘટતું જશે. અને હા! આ નાના નાના ધારદાર પથ્થરો શેના ભેગા કર્યા છે તે તો બતાવ?'
પેલા માણસને ઘણી શરમ આવી. નીચું જોઇને એ બોલ્યો, 'પ્રભુ! એ મારાં અભિમાન, સ્વાર્થ, પાપ અને દ્વેષનાં પથ્થરો છે. જેની ધારથી મેં હંમેશા બીજાને ઇજા પહોંચાડવાનું કામ કર્યું છે.'ભગવાન હસી પડયા. પછી બોલ્યા, 'કંઇ વાંધો નહીં બેટા! તું તારે નિરાંતે દુનિયામાં પાછો જા. પણ એ આ નાના પથ્થરો મને સોંપી દે. આજથી હું એ બધું તારી પાસેથી લઇ લઉં છું!' કહી કરુણાના અવતાર પરમાત્માએ એનાં પાપ, રાગ-દ્વેષ તેમજ અભિમાન વગેરેના પથ્થરો પોતાના હાથમાં લઇ લીધા. એ પથ્થરો એટલા તીક્ષ્ણ હતા કે ખુદ ભગવાનના હાથમાંથી પણ લોહીની ધાર થઇ. પેલા માણસને હવે ઘણી બધી હળવાશ લાગી રહી હતી.
ભગવાનનો આભાર માનીને એણે એમને પ્રણામ કર્યા. પછી પોતાનું જ પોટલું ખભે નાંખીને ધરતી પર પાછો આવવા માટે નીકળી પડયો. થોડેક દૂર ગયા પછી અચાનક એને કંઇક યાદ આવ્યું. પાછાં ફરીને એણે ભગવાનને પૂછયું કે, 'પ્રભુ! મારું પોટલું તો હંમેશા મારા ખભા પર જ હોય છે. તો આ બધાંનાં પોટલાં અહીંયં કેમ પડયાં છે?"હવે ભગવાન એકદમ ખડખડાટ હસી પડયા. પછી બોલ્યા, 'મારા વહાલા દીકરા! એ જ તો વાત છે - જે તને હવે સમજાઇ રહી છે. આ દરેકના ખભે અસહ્ય અને તારા કરતાં પણ ક્યાંય અનેક ગણો વધારે ભાર છે છતાં એ લોકો સરસ રીતે જીવી રહ્યા છે, કારણકે એમણે એમનું પોટલું મને સોંપી દીધું છે! જ્યારે તું તારું પોટલું તારા ખભે લઇને ફર્યાં કરે છે!'હવે પેલા માણસના મગજમાં ચમકારો થયો. એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. ધીમા પગલે એ પાછો ફર્યો, ખભેથી પોટલું ઉતારીને એણે ભગવાનનાં ચરણોમાં મૂકી દીધું. પગે લાગ્યો. અને કોઇ દિવસ નહોતી અનુભવી એવી દિવ્ય હળવાશ અનુભવતો ધરતી પર પાછો આવવા નીકળી પડયો! એ જ ક્ષણે ઘેન ઊતરી જવાથી એની આંખ પણ ખૂલી ગઇ!
Tuesday, January 6, 2009
ગ્રાહક કોને કહેવાય?
ગ્રાહક સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ અનુસાર, એવી વ્યક્તિ જે વસ્તુઓ અથવા સેવાઓ પોતાના વપરાશ અર્થે ખરીદે તે ગ્રાહક છે.ખરીદદારની મંજુરીથી તેવી વસ્તુઓ અથવા સેવાઓનો વપરાશ કરે તે વ્યક્તિ પણ ગ્રાહક છે. દરેક વ્યક્તિ કોઇ ને કોઇ સ્વરૂપે ગ્રાહક છે.
નોંધઃ
જો કોઇ વ્યક્તિ વ્યાપાર કરવા માટે અથવા પુર્ન વેચાણ માટે વસ્તુઓ ખરીદી તો તે વ્યક્તિ ગ્રાહક નથી. ઉપરાંત જો કોઇ વ્યક્તિ સ્વરોજગારીને માટે પોતાનું જીવન નિર્વાહના હેતુથી વસ્તુઓ ખરીદે તો તે ગ્રાહક છે.
______
ફરીયાદ કોણ નોંધાવી શકે?
ગ્રાહક
સ્વૈચ્છિક ગ્રાહક સંસ્થા / કેન્દ્ર શાસિત રાજ્ય પ્રશાસન
કેન્દ્રીય સરકાર
રાજ્ય સરકાર/સંઘ રાજ્ય પ્રાંત પ્રશાસન
સમાન હિત ધરાવતા અનેક ગ્રાહકો તરફથી એક અથવા વધુ ગ્રાહક.
______
ફરીયાદ ક્યારે નોંધાવી શકાય?
અધિનિયમ અનુસાર નીચેના સંજોગોમાં લેખીત ફરીયાદ નોંધાવી શકાય છે.
વેપારી દ્વારા વેપારને અનુચિત / પ્રતિબંધિત રીતે અપનાવવાના ફળ સ્વરૂપે થયેલી ક્ષતી અથવા હાની.
જો ખરીદેલી વસ્તુઓમાં કશી ઉણપ હોય.
જો ભાડાની / પ્રાપ્ત કરેલી સેવાઓ કોઇપણ રૂપે ઉણપ સભર હોય.
જો વસ્તુઓ પર દર્શાવેલી કે તે સમયે અમલમાં હોય તેવા કાયદાની રૂએ અથવા તેના દ્વારા નક્કી કરેલી કિંમતથી વધુ કિંમત માંગવામાં આવી હોય.
જો કોઇ કાયદાનું ઉલ્લંઘન કરી જનતા સમક્ષ એવી વસ્તુઓના વેચાણની રજુઆત થઇ રહી હોય તે જીવન અને સુરક્ષા માટે હાનીકારક હોય.
_____
ફરીયાદ ક્યાં નોંધાવી શકાય?
જિલ્લા ફોરમઃ
જો કોઇ વસ્તુ અથવા સેવાનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર વીસ લાખ રૂપિયા સુધી હોય તેમજ જ્યાં કામગીરી પૂરિ અથવા આંશિક રીતે થઇ હોય અથવા જ્યાં પ્રતિવાદી રહેતો હોય અથવા જ્યાં વેપાર કરતો હોય કે તેની કોઇ શાખા હોય.
રાજ્ય કમિશનઃ
વીસ લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા સુધી.
રાષ્ટ્રીય કમિશનઃ
એક કરોડ રૂપિયાથી વધુ.
_____
જિલ્લા ફોરમ, રાજ્ય તકરાર નિવારણ કમિશન અને રાષ્ટ્રીય તકરાર નિવારણ કમિશન ના સરનામાં નીચે મુજબ છે.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - બ્લોક નં.જી-૧, એનેક્ષી બીલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ -બ્લોક નં એ-૩/૪, બહુમાળી ભવન, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - બ્લોક ૧,સાતમા માળે, એમ.એસ.બીલ્ડીંગ, બહુમાળી ભવન, રાજકોટ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (વલસાડ,નવસારી અને ડાંગ જિલ્લા) દમણગંગા ભવન, કલેક્ટર કચેરી પાછળ, વલસાડ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (જુનાગઢ અને પોરબંદર જિલ્લા) સ્મૃતિભવન, નરસિંહ વિદ્યા મંદિર સામે, એમ.જી.રોડ, કોર્ટ પસે, જુનાગઢ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (અમદાવાદ ગ્રામ્ય) બ્લોક નં. સી-૧૧, બહુમાળી મકાન, લાલ દરવાજા, અમદાવાદ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (ખેડા અને આણંદ જિલ્લા) ૧૧૧, પહેલો માળ, ડી બ્લોક, સરદાર પટેલ ભવન, બહુમાળી મકાન, નડીયાદ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (પંચમહાલ અને દાહોદ જિલ્લા) ૩૩/૪, બીજો માળ, એમ.એસ.બીલ્ડીંગ, કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, ગોધરા.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - ૧/૨, આર.આર.પી.બીલ્ડીંગ, પાલનપુર, જી. બનાસકાંઠા.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - સર્કિટ હાઉસ પાસે, ભૂજ, જી. કચ્છ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - રૂમ નં.૧૦૬, સી-બ્લોક, પહેલો માળ, રાજમહેલ કમ્પાઉન્ડ, એમ.એસ. બીલ્ડીંગ, અમરેલી.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - એ-બ્લોક, પહેલો માળ, એ.એસ.બીલ્ડીંગ, નાનપુરા, સુરત.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - જુના રેલ્વે સ્ટેશન સામે, જામનગર.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - બ્લોક નં ૨૬/૨, ઘ-ટાઇપ,સી.એન.આઇ.ચર્ચ પાસે, સેક્ટર-૨૦, ગાંધીનગર.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા કોર્ટ કમ્પાઉન્ડ, હિંમતનગર.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - રૂમ નં.૭૦, બીજો માળ, જુની કોઠી બીલ્ડીંગ, રાવપુરા, વડોદરા.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (અમદાવાદ શહેર) બાદશાહ ડેરીની બાજુની ગલી, ભગવતી કોમ્પલેક્ષની પાછળ,જૈન મર્ચન્ટ સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમ - (મહેસાણા અને પાટણ જિલ્લા) જુના રાજ મહેલ બીલ્ડીંગ, ઇલેક્ટ્રીશીયન બ્રાન્ચ, મહેસાણા.
ગ્રાહક તકરાર નિવારણ કમિશન - (ભરૂચ અને નર્મદા જિલ્લા) ઓફિસ નં.૧૩૨-૧૩૫, પહેલો માળ, પાનમ પ્લાઝા બીલ્ડીંગ, રીલીફ સીનેમા પાસે,સ્ટેશન રોડ, ભરૂચ.
ગ્રાહક તકરાર નિવારણ કમિશન - ૪, વિજય પાર્ક સોસાયટી, મિલન પાર્ક પાસે, નવરંગપુરા, અમદાવાદ. ફોનઃ ૨૬૪૬૯૨૫૩ ફેક્સઃ ૨૬૪૪૨૮૭૫
નેશનલ કન્ઝ્યુમર ડીસ્પ્યુટ્સ રિડ્રેશલ કમિશન - પાંચમો માળ, એ-વીંગ, જનપથ ભવન, જનપથ, નવી દિલ્હી. ફોનઃ ૦૧૧ ૩૩૧૭૬૯૦, ૩૩૫૮૦૭૪.
_____
ફરીયાદ કેવી રીતે નોંધાવશો?
જે તારીખથી કાર્યવાહીનું કારણ ઉત્પન્ન થયુ હોય તેના બે વર્ષ દરમ્યાન ફરીયાદ નોંધાવવાની હોય છે.
ફરીયાદ નોંધાવવા માટે રૂપિયા એક લાખ સુધીના દાવા માટેની ફી રૂપિયા ૧૦૦, રૂપિયા એક લાખ થી પાંચ લાખ સુધીના દાવા માટેની ફી રૂપિયા ૨૦૦, રૂપિયા પાંચ લાખ થી દસ લાખ સુધીના દાવા માટેની ફી રૂપિયા ૪૦૦ અને રૂપિયા દસ લાખ થી વીસ લાખ સુધીના દાવા માટેની ફી રૂપિયા ૫૦૦ ઠરાવવામાં આવી છે.
સોગંદનામા માટે સ્ટેમ્પ પેપરની જરૂર નથી હોતી. ફરીયાદી અથવા તેના કોઇ અધિકૃત પ્રતિનીધી દ્વારા મોકલી શકાય છે. વકીલ રોકવો જરૂરી નથી.
સામાન્ય રીતે મંચોને ફરીયાદની ૪-૬ નકલો આપવાની હોય છે.
_____
ફરીયાદમાં નીચેની માહિતી હોવી જોઇએ.
ફરીયાદીનું નામ, ઉમર અને પુરૂં સરનામું.
પ્રતિવાદી પાર્ટી અથવા પાર્ટીઓના પુરા નામ અને સરનામાં.
ખરીદારી / સેવા મેળવ્યાની તારીખ.ખરીદારી / સેવા મેળવવા ચુકવાયેલી રકમ.
ખરીદેલ વસ્તુઓ અને તેની સંખ્યા / મેળવેલ સેવા નું સ્વરૂપ.
શું ફરીયાદ વેપારના અનુચિત / પ્રતિબંધિત નીતી / નુકશાની ગ્રસ્ત વસ્તુઓ / અપુર્તી સેવા / નક્કી કરેલ કિંમતથી વધુ કિંમતની માંગ સાથે સંબધીત છે?
બીલ/વાઉચર/ રસીદની નકલો અને જો કોઇ પત્ર વ્યવહાર કર્યો હોય તો તેની નકલો.
માંગવામાં આવેલી રાહત.
______
રાહત
ગ્રાહક અદાલતો નીચેની રાહતો માટે આદેશ કરી શકે છે.
.
વસ્તુઓની ખામીઓને દુર કરવી.
વસ્તુઓની બદલી કરવી.
ચુકવેલી કિંમત પરત કરવી.
જે હાની કે ક્ષતિ થઇ હોય તેની ભરપાઇ કરવી.
સેવામાં ત્રુટીઓ અથવા કમીઓને દુર કરવી.
અનુચિત વેપારની નીતીઓ / અવરોધક વેપાર પદ્ધતિઓને બંધ કરવી તથા નિર્દેશ આપવો કે તેવું ફરીથી ન બને.
વેચાણ માટે રજુ કરાયેલ ખતરનાક વસ્તુઓ પરત કરવાનો ફેંસલો આપવો.
ખરીદદારને યથાયોગ્ય કિંમતની ચુકવણી કરવી.
_____
અપીલ
જીલ્લા ફોરમ ના નિર્ણયની વિરૂદ્ધ ૩૦ દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ કરી શકાય.
રાજ્ય કમિશન ના નિર્ણયની વિરૂદ્ધ ૩૦ દિવસમાં રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકાય.
રાષ્ટ્રીય કમિશનના નિર્ણયની વિરૂદ્ધ ૩૦ દિવસમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં અપીલ કરી શકાય.
ગુણદોષના આધાર પર સમય મર્યાદાની બાધા નથી.
રાજ્ય કે રાષ્ટ્રીય આયોગમાં અપીલ કરવા માટે કોઇ મૂલ્ય ચુકવવાનું હોતું નથી.
અપીલ કરવાની રીત ફરીયાદ કરવા જેવી જ છે આવેદનની સાથે અપીલ કરવાના કારણો સહિત અપીલ કરવામાં આવેલ આદેશોની નકલ એક સમાન હોવી જોઇએ.
____
ગ્રાહક સંરક્ષણ અધિનિયમ શા માટે?
તંદુરસ્ત પર્યાવરણ
માહિતી
સુરક્ષા
પસંદગી
શિક્ષણ
ફરિયાદ નિવારણ
સુનાવણી
પાયાની જરૂરીયાતો
____
ગ્રાહકોના હિતોના વધુ સારા રક્ષણ માટે અને આપના આ અધિકારો માટે.....
સુરક્ષાનો અધિકાર
માહિતીનો અધિકાર
પસંદગીનો અધિકાર
સુનાવણીનો અધિકાર
ફરીયાદ નિવારણનો અધિકાર
ગ્રાહક શિક્ષણનો અધિકાર
Friday, January 2, 2009
પ્રેમ ને જ પ્રેમ કરો,
તો ખબર પડે કે પ્રેમ શું ચીજ છે.
ખુદને જ પ્રેમ કરો ,
તો સમજાય કે પ્રેમ શું સંયોજન છે.
માં-બાપને પ્રેમ કરો ,
તો સમજાય કે પ્રેમ કેવું સંયોજન છે.
સૌને પ્રેમ કરો તો,
તો સમજાય કે પ્રેમ કેટલો મહાન છે.
દેશ ને પ્રેમ કરો ,
તો સમજાય કે પ્રેમ કેટલો શ્રેષ્ઠ છે.
નિસર્ગ ને પ્રેમ કરો,
તો તમે અનુભવો કે પ્રેમ કેટલો અલૌકિક છે.
ને શ્યામ ને પ્રેમ કરો ,
તો માલુમ પડે કે પ્રેમ કેટલો દિવ્ય છે.
અર્જુનસિહ ચૌહણ