નદી
Saturday, October 25, 2008
આપણા મળ્યાની ખબર
માત્ર મને કે તમને જ નહીં, કેટલા બધાને ખબર છે,
આપણે મળ્યા હતા પેલા આસોપાલવની નીચે,
એષ, આપણે તો જતા રહ્યા, પણ આસોપાલવને યાદ છે,
રોજ હું તમને આપતી હતી એક પીળી કરેણનુ ફુલ,
તમને યાદ નથી પણ તમારા ખિસ્સામાના ફુલને યાદ છે,
આપણે ચાલતા હતા રોજ પેલી સુની સડક પર,
તમે તો ચાલી ગયા, પણ આપણા પગલાને હજી યાદ છે,
એક સવારે તમે હાથ લીધો હ્તો મારો તમારા હાથમાં,
તમે હાથ લઈ લીધો, પણ મારા હાથની ગરમીને હજી યાદ છે,
એક સોનેરી સંધ્યાએ આપ્યુ હતુ, તમે મારા હોઠોને એક ગીત,
તમે તો ખામોશ થઈ ગયા પણ ગીતના પડઘાઓને હજી યાદ છે,
આજે તમે તો જતા રહ્યા છો, હુ રોજ કરુ છુ તમારો ઇન્તેઝાર,
પણ આપણા બે સિવાય, આપણી યાદોને પણ તમે યાદ છો.
નમ્રતા
પ્રેમ
Saturday, October 18, 2008
પ્રેમ....
તારી અને મારી વચ્ચે ઓ સનમ
આ તે કેવો સુંવાળો સંબંધ છે ?
જેમાં આપણા પ્રેમનો થોડો થોડો
ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે.
તું તો નથી રહી આસપાસ મારી
મારા શ્વાસશ્વાસમાં તારી સુગંધ છે.
જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
કોણ કહે છે કે પ્રેમ અંધ છે ?
આપણા આ પ્રેમનું છેક એવું છે
કામકાજ ચાલુ ને રસ્તો બંધ છે.
લખી ભલે ‘નટવરે’ આ ગઝલ
દિલથી વાંચો,પ્રેમનો નિબંધ છે.
Friday, October 10, 2008
રાત નો સમય હતો છતા ચારે તરફ હજી પણ પુર ના પાણી નો ભયાનક અને ડરામણો ઘોંઘાટ છવાયેલો હતો. છગન કાલ રાત થી જાડ પર બેઠો હતો.તેની બાજુમાં પંડીતજી પણ બેઠા હતાં જાડની ડાળી પર. ગામ તો હવે દેખાતું પણ ન હતું. ફકત મકાનો ના છાપરા અને મોટા મોટા જાડો ની ઉપલી ડાળો જ દેખાઈ રહી હતી અને દેખાઈ રહ્યાં હતા એ વિજળી ના થાંભલાઑ ના તાર કે જેમાં ક્યારેય વિજળી આવી જ નહતી.પણ બિલ જરુર આવતું હતું...........
અચાનક ત્યારે જ જાડ ઉપર કંઈક સળવળાટ થતો અનુભવાયો .નીચે વળીને જોયું તો એક સાપ દેખાઈ રહીયો હતો કદાચ તે બિચારો પણ પોતાનો જીવ આ પાણી થી બચાવવા જાડ પર ચડી રહયો હતો. એમજ વિચારી ને છગને સાપ ને જવા માટે થોડી જગ્યા કરી આપી. સાપ ઉપર આવી ને તેની બાજુમાં બેસી ગયો. તે પોતેજ ડરી ગયેલો દેખાતો હતો તો કોઈ ને શું કરડવાનો પડીંતજી ઉંઘમાં હતાૢ પણ આટલા ઘોંઘાંટ માં કેવી રીતે સુઇ શકાય. પણ થોડા ઉંઘ માં હતા નહીતર ચીસો પાડી ઉઠત સાપ – સાપ...! કરીને.
----------અચાનક ઘડામ ! દઈને આવાજ થયો. છગન થોડો ડરી ગયો. બાલુ નાં ઘર ની દિવાલ પડી ગયી હતી. આ તેના પડવાનો જ આવાજ હતો. પંડીતજી પણ સભાન થઈ ને આમ તેમ જોવા લાગ્યા. જ્યારે છગન ની બાજું માં સાપ ને જોયો તો ઈશારા થી કહેવા લાગ્યા કે તારી પાછળ સાપ છે. છગન બોલ્યો કે કાંઈ વાધોં નહી ૢ મને પુછીને જ બેઠો છે. પંડીતજી મંદ મંદ હસવા લાગ્યા. છગન ની પાસે થોડા ચણા હતા તે પોતાની પોટલી ખોલી ને ખાવા લાગ્યો. પણ સાથે કોઈ ભૂખ્યો હોય તો એકલા કેવી રીતે ખાઈ શકાય તેથી તેણે પંડીતજી ને પુછ્યું કે તેઓ ચણા ખાશે
પંડીતજી પણ ભુખ્યા હતા પણ એક પછાત જાતીના છોકરાના હાથ નું કેવી રીતે ખવાય પણ બે દિવસ થી જાડ પર ભુખ્યા બેઠા હતા લટકી રહી ને ડાળ પર.......બીજો કોઇ ઉપાય પણ ના હતો. તેથી પછી તેમણે વિચાર્યુ કે ખાઈ લઉ અહી કોણ જોવાનું છે કેમકે હવે ભૂખ જવાબ દઈ રહી હતી. તેથી તેમણે છગન ની સાથે ચણા ખાઈ લીધા.હવે બંનેની ભૂખ લગભગ શાંત થઈ ગયી હતી.અને જ્યારે પેટમાં અન્નનો દાણો પડે તો ઉંઘ પણ આવી જતી હોય છે.તેથી બન્ને થોડીવારમાં જ સુઈ ગયા. અને બિચારો એ બન્નેને જોતો રહ્યો જાણે કે પહેરો દેતો હોય.
સવાર ના પંછીઓ ના કલરવે બન્નેની ઉંઘ ઉડી ગયી..જોયુ તો દૂર દૂર ગામના છોકરાઓ તરાપો જેવું બનાવી ને તેમની તરફ જ આવી રહીયા હતા....
પંડીતજી એ ઉભા થઈ ને હાકોટા પાડીને ધ્યાન દોરવા માંડ્યું. તે સાંભળી ને છોકરાઓ તેમની નજીક આવી પહોંચ્યા. જેવો તરાપો નજીક આવ્યો કે પંડીતજી કુદીને તેમાં બેસી ગયા અને હુકમ કરવા લાગ્યા કે ચલો ચલો જલ્દી ચલો ! છોકરાઓ એ પુછ્યું કે શું છગન ને નથી લેવાનો તો તેમણે કહ્યુ કે બીજા ફેરામાં આવો ત્યારે લઈ જજો તેને. અને તેઓ નીકળી ગયા................... .....તરાપો દૂર જઈ ચુક્યો હતો. છગન અને સાપ બન્ને જણા તેને જતો જોયા કરતા હતા.
છગને વિચાર્યુ કે ભલુ થજો કે સાપ માં જાતીપ્રથા નથી.
અને સાપ વિચારી રહ્યો હતો કે સારુ થયું કે હું મનુશ્ય નથી.
પ્રાચી વ્યાસ
Harifai
મિત્રો
આજે હરિફાઈ નું પરીણામ જાહેર કરતા આનંદ અનુભવું છું.
આપ સૌના સાથ અને સહકાર બદલ ખુબ ખુબ આભાર
વાર્તા સ્પધાં ના ઈનામો
પ્રથમ ઈનામ ...............પ્રણય...........લેખિકા....ચેતના (ઘીયા) શાહ
દ્વીતીય ઈનામ.................જેલ.............લેખક.......સુરેશ જાની
ત્રિજુ ઈનામ..................સ્વાતંત્ર ...સમી સાંજ નુ....નીતા કોટેચા
કાવ્ય સ્પર્ધા નાં ઈનામો
પ્રથમ ઈનામ ............. વૃક્ષોવિણ.........................શિવાની કામદાર
દ્વીતીય ઈનામ ...........આ સિમેન્ટ ના જંગલ મા ક્યાં ખોવાય ગયો માણસ.......નિશિત જોશી
કહેવતો આધારીત ઈનામ
પ્રમોદ પટવા
બધાં વિજેતાઓને અભિનંદન
આફત આવ્યા પહેલાં જ ડરવા ન માંડશો
Sunday, October 5, 2008
આફત આવ્યા પહેલાં જ ડરવા ન માંડશો
- મોહમ્મદ માંકડ (સંદેશ)
આ મહિનામાં, આ તારીખે અત્યારે તમે આ લેખ વાંચી રહ્યા છો. પરંતુ ગયા વર્ષે આ મહિનામાં આ તારીખે આ સમયે તમે શું કરતા હતા તે કહી શકશો? મોટા ભાગે નહીં કહી શકો, અરે, ચોક્કસ નહીં કહી શકો. એ જ રીતે આવતાં વર્ષે આ મહિનાની આ તારીખે તમે શું કરતા હશો તે ચોક્કસપણે કહી શકશો ? નહીં કહી શકો. આમ છતાં, દરેક માણસ જીવનનિર્વાહ માટે આવતીકાલની ચિંતા, આવતા મહિનાની, અને ઘણા તો પાંચ- દસ વરસની પણ ચિંતા કરે છે. ઉંમર વધવા સાથે બુઢાપાની ચિંતા પણ કરે છે. જે રસ્તા વિષે માણસ કશું જ જાણતો નથી એના વિષે માત્ર કલ્પનાઓ કરવાથી શું ફાયદો ?
પરંતુ જીવનની આ બે બાબતો એવી છે કે માણસ એની ચિંતા કર્યા જ કરે છે. એક ડાહ્યા માણસે એટલે જ કહ્યું છે કે જે માણસ આવી ચિંતા કરે છે એ નદીએ પહોંચ્યા પહેલા જ જોડાં કાઢી નાખવાની ચેષ્ટા કરે છે. પાણીમાં ઉતરવાની વાત તો દૂર રહી.
સરકારી નોકર માટે સરકાર પગારધોરણ નક્કી કરી આપે છે. પેન્શન, ગે્રચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ નક્કી કરી આપે છે. કામ કરવાના કલાક અને પેન્શન લેવાની ઉંમર અને રજાઓ નક્કી કરી આપે છે, છતાં આટલી બધી અનિશ્ચિતતાઓ બાકી રહે છે. જે બાબતમાં કોઈ સરકાર, કોઈ પેઢી કે શેઠ કશું નક્કી કરી શકતાં નથી. નોકર માટે પગારધોરણ નક્કી થઈ શકે પણ અમુક વર્ષે અમુક સમયે નાણાંની કે રૃપિયાની કિંમત કેટલી રહેશે એ કોણ નક્કી કરી શકે ? અને એટલે, ખરા પગારનું ધોરણ કઈ રીતે નક્કી થઈ શકે ? એના ઉકેલ માટે મોંઘવારી ભથ્થું ઉમેરી શકાય પણ મોંઘવારી ભથ્થું હંમેશા મોંઘવારી વધ્યા પછી ઉમેરાય છે અને તે માત્ર મોંઘવારીમાં ઉમેરો કરવા માટે જ કારણભૂત બને છે.
એટલે કે, આવતીકાલને કોઈ ધોરણ કે ચોકઠામાં આપણે બાંધી શકતા નથી, અને જેને સરકાર કે સમાજ ન બાંધી શકે તેને બાંધવાની નિરર્થક ચેષ્ટા વ્યક્તિએ શા માટે કરવી જોઈએ ? અને જે લોકો એવું કરે છે એ મૂડી લીધા પહેલાં જ વ્યાજ ભરવા માંડે છે. આફત આવ્યા પહેલાં જ ડરવા લાગે છે, અને ડરવાથી આફત દૂર થઈ શકતી નથી.
ચિંતાથી માણસ ભાવિ માટે એવી એવી યોજનાઓ બનાવ્યા કરે છે કે અમલ કરવાના બદલે ચિંતા કરવામાં જ તેમનો સમય વેડફાઈ જાય છે. કાઠિયાવાડી બોલીમાં એક કહેવત છે કે ‘કારતક મહિને કણબી ડાહ્યો.’ આમાં માણસની યોજનાઓની નિરર્થકતા વ્યક્ત થાય છે. ચોમાસું વીતી જાય ત્યારે ખેડૂતો ચર્ચા કરે છે, ‘આ વરસે બાજરાને બદલે કપાસ વાવ્યો હોત તો રંગ રહી જાત !’ બીજા વર્ષે એમને લાગે છે કે, આ વરસે બહુ ઓછો વરસાદ પડયો. જો બાજરો વાવ્યો હોત તો પાક છૂટત !’ અને ત્રીજા વર્ષે, ‘અમે તો પહેલેથી જ કહેતા હતા, આ મોહનભાઈ નો માન્યા. મગફળી વાવી હોત તો મજા થઈ જાત !’ કારતક મહિનામાં ખેડૂતોને બધી ભૂલો ચોખ્ખીચટ સમજાય છે પણ આવતા વર્ષે શું વાવવું એ કોઈને સૂઝતું નથી, કારણ કે એની કોઈને ખબર પડતી નથી.
અને જે અજાણ્યું છે, અકળ છે એના વિષે ચોકસાઈપૂર્વક યોજના કે ચિંતા કરવાથી કશું વળતું નથી. જેવી ખોટી ચિંતા માણસ કમાવા માટે કરે છે એવી જ નકામી ચિંતા ઉંમર વધવા સાથે બુઢાપા બાબતમાં કરે છે. બુઢાપાની ચિંતા માણસ પોતાની આસપાસના વૃદ્ધ માણસોની જે હાલત જુએ છે તેને કારણે થાય છે. આ ચિંતા પણ કમાવાની ચિંતા જેવી જ છે કારણ કે, કમાવાની ચિંતા કરવાથી કમાણી વધતી નથી. એ જ રીતે બુઢાપાની ચિંતાથી બુઢાપાને રોકી શકાતો નથી.
શારીરિક રીતે વૃદ્ધ બનતા પહેલાં માણસ અંદરથી વૃદ્ધ બનવા લાગે છે. હવે ચાલીસ થઈ ગયાં, પચાસ થઈ ગયાં, સાઠ થઈ ગયાં, હવે ખલાસ ! ઊધઈ જેવી આ માન્યતા માણસને અંદરથી કોરવા માંડે છે અને આખુંયે શરીર ખખલા થઈ ગયેલા વૃક્ષની જેમ ખખડી જાય છે. યુવાન રહેવાનું બધાને ગમે છે, પણ યુવાન કેમ રહેવું તે બધાને આવડતું નથી. જે માણસને આવડે છે, તેને બુઢાપો અમુક સમયથી વધુ હેરાન કરી શકતો નથી. જીવવાનો આનંદ માણવા માટે શરીર સ્વસ્થ હોય તે જરૃરી છે, પણ એ માટે માણસ કાયમ વીસ જ વર્ષનો હોય એ જરૃરી નથી.
વિચાર કરી જુઓ, તમે પાંચ વર્ષના હતા ત્યારે ત્રણ પૈડાં વાળી સાઇકલ ચલાવવામાં જે આનંદ આવતો હતો તે અત્યારે આવી શકશે? ફુગ્ગાથી રમવામાં એટલી મજા આવી શકશે ? તે વખતે ત્રીસ પાંત્રીસ વરસના પિતા તમારી વાત સાંભળવાનું અધૂરી મૂકીને દુકાને કે ઓફિસે જવા નીકળી પડતા હશે ત્યારે તેમની તે ક્રિયા તમને કેટલી નકામી લાગતી હશે ? પ્રેમમાં હતાશ થઈ ગયેલ ભાઈ કે બહેન,અથવા તો દેવું થઈ જવાને કારણે કપાળે હાથ મૂકીને આફત આવ્યા પહેલાં જ ડરવા ન માંડશો બેઠેલા કાકા તમને કેવા લાગતા હતા ? એ બધું તમારા માટે કેટલું નિરસ અને નિરર્થક હતું ? એવું જ, કદાચ, તમારું અત્યારનું દોડાદોડી વાળું જીવન તમને વૃદ્ધાવસ્થામાં લાગશે. દરેક ઉંમરે માણસના વિચારો અને સમજમાં ફેરફાર થયા કરે છે અને દરેક ઉંમરને એનો પોતાનો આનંદ હોય છે.
જે માણસ આજે ત્રીસ વર્ષનો હશે તેમને જરૃર લાગશે કે, આજે એમના જીવનમાં જે આવડત છે તે વીસ વર્ષની ઉંમરે ન હોતી. ચાલીસ- પિસ્તાલીસ વર્ષના હશે તેઓ સંમત થશે કે, પંદર-વીસ વર્ષ પહેલાં તેમની પાસે આજે છે તેવી સગવડ કે આબરૃ ન હોતી. પચાસ વર્ષના હશે તે કહેશે કે, આજે તેમનામાં જે ડહાપણ છે તે વીસ-પચીસ વર્ષ પહેલાં ન હોતું. એનો અર્થ એ છે કે, જીવન અમૃતનો પ્રવાહ છે. કોઈ પણ ઉંમરે એ શુષ્ક કે કડવું નથી હોતું. દરેક પસાર થતું વર્ષ મનુષ્યને વધુ પુષ્ટ બનાવે છે. માત્ર પથ્થરો ઉપર જ લીલ બાઝી જાય છે અને તે નકામા થઈ જાય છે.
એનો અર્થ એ નથી કે ઈચ્છાશક્તિના જોરથી માણસ પોતાના વાળને સફેદ થતા રોકી શકે, અથવા તે ચામડી પર કરચલી પડતી રોકી શકે. પણ એનો અર્થ એટલો જરૃર છે કે, સફેદ વાળ અને કરચલીવાળા ચહેરા સાથે પણ તે આનંદીત રહી શકે, અને આનંદ એ જ જીવન છે.
અર્નેસ્ટ એલ્પોકોકીએ લખ્હ્યું છે કે, જો કોઈ માણસ પાસે જીવનનિર્વાહ જેટલી કમાણી, કામકાજ કરી શકાય એટલી તંદુરસ્તી અને કોઈ પણ વસ્તુમાં રસ લેવાની શક્તિ, એ ત્રણ વસ્તુઓ હોય તો એવો માણસ ગમે તે ઉંમરે અને ગમે તે સ્થળે સુખથી જીવી શકે છે.
જીવનનો પ્રવાહ નદીના પ્રવાહ જેવો છે, સતત વહ્યા કરે છે. ગમે તે સ્થળેથી તે ચાખી શકાય છે. કિનારે બેસીને માત્ર યોજનાઓ કે ચિંતા કરવાથી કશું જ પ્રાપ્ત થઈ શકતું નથી. એનો અર્થ એવો નથી કે પ્લાનિંગ ન કરવું, કોઈ કામ માટે યોજના ન કરવી, એનો અર્થ એટલો જ છે કે યોજનાઓ કરવા પાછળ જ સમય વેડફી ન નાખવો કારણ કે, એવી અફર, જડબેસલાક યોજના કોઈ કરી શકતું નથી. અને યોજના નિષ્ફળ જાય તો ચિંતા ન કરવી. ચિંતા કરવાથી કશું જ વળતું નથી.
શેર
Saturday, October 4, 2008
પહેર પાનેતર સનમ મુહૂર્ત હવે જોયુ નથી,
લોકચર્ચા ગામની સહદેવવાણી થૈ જશે......'સુમન' મનહર
મ્હેંકનું કારણ મળ્યું ના વાડ ને,
છોકરી ઉભી હતી આડશમાં.......આબિદ ભટ્ટ
એક ટીપું આંસુ નહીં ટપકે,
આંખ મઢાવી એ જ પ્રમાણે.....નવનીત ઠક્કર
પ્રેમ નથી બીજું કંઇ પણ પળ બે પળનો ઝબકારો છે,
સાવ જૂદી નજરે કોઇથી જોવાઇ જવાની ઘટના છે.....દિના શાહ
જવું હો હરદ્વાર નક્કી તય કર્યુ મનમાં પ્રણય,
ને સુરાલય પહોંચે પગ -એની મજા કૈં ઓર છે.....પ્રણય જામનગરી
શ્રોતાજનો લથબથ હતાં ભીંજાયેલા ગીતમાં,
તારી મહેફિલમાં હું કોરો હીજરાયો હતો......ભાનુપ્રસાદ પંડ્યા
બગીચો ગમે છે અને રણ પણ ગમે છે,
તમો હોવ તો હર ક્ષણ ગમે છે.......તુરાબ 'હમદમ'
તારી ગલીમાં આવવાથી ફાયદો થયો,
મિત્રો મળ્યા બે-ચાર ને મુસાયરો થયો.....સ્નેહલ જોષી
તે પછી રિસાઇને ચાલ્યાં ગયા,
પ્યારનું સગપણ હશે લાગી શરત્ .......અઝીઝ ટંકારવી
પ્રેમથી જોડાઇ મુજને, તુજ સુધી પહોંચ્વું નથી,
પણ મુજથી જોડી પ્રેમને તુજ સુધી પહોંચાડવો છે...શ્વેતા 'દિવાની'
વિશ્રામ ક્યાં? મરણ ક્યાં? કરું કાં હવે ફિકર,
એક સ્વપ્ન સૌ વ્યથાઓનું શામક બની ગયું......નરેન્દ્ર શુકલ
વાંસ જેવો મારો પડછાયો હતો,
વન ઉપવન ક્ષણ લૂંટાતું ગયું..........નલિન પંડ્યા
સુવાસ ચાહું છું જીવનની હું ભરી લેવા,
પરંતુ મારુ જિગર ધુપદાન છે કે નહીં?......નસીમ
દીપ કે ફૂલ જ્યાં જોઇ ન શકો, સ્નેહીઓ,
એ મઝાર મારો છે.....નસીમકહે છે કે કોઇ કે તારું મકાન છે કે નહીં?
ભમી રહ્યો છું યુગોથી, એ ભાન છે કે નહિં?.....નસીમ
વર્ષો પછી આ મૌનને તોડું હવે તો શું થશે?
ચહેરા વિના આયના ફોડું હવે શું થશે?.....નંદિતા ઠાકોર
મઝધારને માઠું લાગ્યું છે ને શાંત સમંદર લાગે છે,
નૌકાને ડુબાવી દેવાનો સુંદર અવસર લાગે છે......નાઝ માંગરોલી
એ અધવચથી જ મારા દ્વાર પર પાછાં ફરી આવે,
જો એવું માર્ગમાં કંઇ અપશુકન થઇ જાયતો સારું......નાઝિર દેખૈયા
આમ અમથાં એક ક્ષણ ઝૂર્યા અમે પંખી બની
લાખ સપનાંઓ વહી ચાલ્યાં પછી પંથી બની........નીલા પટેલ
તારું નામ લીધું તો વચ્ચેથી,
આપમેળે ખસી ગઇ દુનિયા.......નૂરી પોરબંદરી
એ અધવચથી જ મારા દ્વાર પર પાછાં ફરી આવે,
જો એવું માર્ગમાં કંઇ અપશુકન થઇ જાયતો સારું......નાઝિર દેખૈયા
આમ અમથાં એક ક્ષણ ઝૂર્યા અમે પંખી બની,
લાખ સપનાંઓ વહી ચાલ્યાં પછી પંથી બની........નીલા પટેલ
તારું નામ લીધું તો વચ્ચેથી,
આપમેળે ખસી ગઇ દુનિયા.......નૂરી પોરબંદરી
એ ઘરની વાત જવા દો એ ઘર મળે ક્યાંથી?
કે જેની શોધ હતી એ મને ગલી ન મળી.........નૂરી પોરબંદરી
ઝીલી શકો તો ઝીલો ઝવેરાત શબ્દનાં,
અર્થોના રાજપાટ લૂંટાવીને ચાલીએ.......પથિક પરમાર
પીડાનું રાજપાટ માગું છું,
છાતી સોંસરવુ તીર આપી દે.......પરેશ દવે
આ બગીચામાં ભલે ન પાનખરનું રાજ હો,
છે અટલ વિશ્વાસ કે પાછી બહારો આવશે.......પંકજ ભટ્ટ
સાવ ખાલીખમ પડ્યું અસ્તિત્વનું આખું મકાન,
આવ, તું આપી ટકોરો ને વસાવી લે મને.....પંથી પાલનપુરી
વ્યોમ તારી આંખનું સ્પર્શી જશે જ્યારે મને,
કોઇ ટહુકાની ક્ષણો વળગી જશે જ્યારે મને......પીયુષ ભટ્ટ
મનોરંજન કરી લઉં છું ,મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું...........અકબર અલી જસદણવાલા
દિલ મહીં તુજ ધ્યાન વિણ બીજું કશું પણ હોય શું?
રાધિકાને કહાન વિણ બીજું કશું પણ હોય શું?.........અગમ પાલનપુરી
હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,
હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ !- જલન માતરી
અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી
ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે !- મરીઝ
શોકનો માર્યો તો મરશે ન તમારો 'ઘાયલ'
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !- અમૃત
અર્થ આવ ! કાનમાં કહું તને,
પહેલો પુરુષ એક વચનની એ શોધ છે !- શોભિત દેસાઈ
અમારા દોસ્તનો જરા આ પ્યાર જોઈ લો,
જનાજો નીકળ્યો ત્યારે દિલાસો આપવા આવ્યા !- આશિત હૈદરાબાદી
જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને મારા, મને એવા નયન દેજે !- નાઝિર દેખૈયા
વિતાવી મેં વિરહની રાત તારાં સ્વપ્ન જોઈને,
કરૂં શું મારી પાસે એક પણ તારી છબી નહોતી !- બરકત વિરાણી 'બેફામ'
ગઝલ
ક્યાં કશો ય શોક છે કે હર્ષ છે,
સ્વપ્ન ફળ્યાનો હવે શો અર્થ છે ?
ગા લ ગામાં એમનો સંદર્ભ છે,
આ ગઝલનો એટલો બસ મર્મ છે.
એને બરછટ શબ્દથી દુષિત ન કર,
લાગણી કેવી મુલાયમ નર્મ છે.
છે હવે મદહોશ એ સ્પર્શથી,
એ જ વાતે આ પવનને ગર્વ છે.
મારો પડછાયો મને પૂછ્યા કરે,
તેજ ને અંધારમાં શો ફર્ક છે?
ભીંત પર મોર ચીતરો તો ભલે,
ત્યાં ટહુકો ટાંગવાનું વ્યર્થ છે.
અન્યની તો વાત શી કરવી, અદમ
પંડની સાથે જ ક્યાં સંપર્ક છે?
સ્મરણની ખૂલી જાય વાસેલી બારી ને
તારી હજુ આવ-જા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે
ચરણ સાથ મૂકીને ચાલ્યાં હતાં,
આંખ ફરતી હજુ એ જ રસ્તાઓ તેડી
નથી એક પગલુંય ભૂંસી શકાતું,
કહો કેમ ભૂંસી શકું જ કેડી
અમે નાવ લીધી હલેસાંય લીધાં, ને
આખી નદી લાપતા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે
કિતાબોય જૂની હું વાંચી શકું ના,
કે તારાં જ વાળેલાં પાનાં મળે
મળે કોઈ ચિઠ્ઠી, મળે કોઈ પીંછું
પછીથી પ્રસંગો જે ટોળે વળે
સમાધિ સુધી લઈ જતા એ પ્રસંગો
સમાધિ તૂટ્યાની સજા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે
મને સાચવી રાખવા તેં દીધેલું
એ અડધુંક ચોમાસું છે મારી પાસે
તને પાછું કરવા હવે મારો સૂરજ
સવારેથી નીકળી જતો રે પ્રવાસે
નિરંતર તને શોધતા આ સૂરજને
મળી આગ ઉપર હવા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે