અનુકંપા
Saturday, June 7, 2008
ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે પાર્વતીજીએ અતિ ઘોર તપસ્ચર્યા શરૂ કરી. શિયાળામાં તે હિમ-ઝરણામાં ઉભાં રહ્યાં,ઉનાળામાં પંચાગ્નિ તપ કર્યુ અને ચોમાસામાં બારે મેઘ માથે ઝીલ્યા. આઠે પહોર એક ભગવાન શંકરનું જ રટણ તેમના ચિત્તમાં રમવા માંડયું. દેવતાઓ પણ આવી ઉગ્ર તપસ્યા જોઇ આશ્ચર્યમુગ્ધ બની ગયા. પણ ભગવાન શંકરના દર્શનની આછીપાતળી ઝાંખીયે ઉમાને ન થઇ.
પાર્વતીજી કંપી ઉઠયા. અત્યાર સુધી તો કંદમુળનો આહાર કરી તેમણે દેહને ટકાવી રાખયો હતો. હવે મુઠ્ઠીભર સૂકાં પાંદડાં જ ખાવા શરૂ કર્યાં. એકાગ્ર ચિત્તે ભગવાન શિવનું આરાધન કરતાં કરતાં એમની નજર દૂર દૂર ક્ષિતિજ પર મંડાઇ રહેતી. ક્યાંયે નટરાજનો દિગંત ડોલાવતો ડમરુધ્વનિ સંભળાય છે? પણ એ આશા ફોગટ નીવડી. ઉમાએ મુઠ્ઠીભર પાંદડા પણ મુખમાં મૂકવાનું છોડી દીધું. દેવતાઓ હાહાકાર કરી ઊઠયા અને તેમણે પર્ણનો પણ ત્યાગ કરનાર ઉમાનું નામ રાખ્યું - અપર્ણા. સહુને થયું કે હવે તો શિવજીને આ તરફ આવ્યા વિના છુટકો નથી. પણ ભગવાન શંકરનું આસન ચલાયમાન ન થયું. આવા ભીષણ તપની જ્વાલાથી ભગવાન શંકરની આનંદસમાધિને જાણે ઊની આંચ પણ નલાગી. મહર્ષિઓ,દેવગણો,યક્ષ-કિન્નરો - સહુના વિસ્મયનો પાર ન રહ્યો.
પણ ભગવાન શંકરની ઉપેક્ષા અનહદ હતી તો ઉમાની સહનશક્તિનેયે સીમા નહોતી. તેમણે આથી પણ વધુ આકરી તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો. અત્યાર સુધી તો એ અંજલી પર જળ ભરી લેતાં. રાતે થોડી વાર શયન કરતાં. થોડી નિદ્રા પણ આવી જતી. હવે એમણે જળનો ત્યાગ કર્યો, નિદ્રા છોડી અને એક પગે ઊભા રહી ખુલ્લાં નેત્રે ભગવાન શંકરની પ્રતીક્ષા શરૂ કરી. આંખનું મટકું પણ માર્યા વિના ઉમાએ ભગવાન શંકરના અખંડ ધ્યાનની લગની લગાવી. હવાના એક હિલોળાથી એમનું તપઃક્રુશ શરીર ક્યાંયે ઊડી પડે એમ હતું,પણ અંતરના વજ્રનિશ્ચયથી એમણે પગને હિમાલાયની જેમ અડગ કરી દીધા. દેવતાઓએ અંતરીક્ષમાંથી હિમાલાયાની પુત્રી પાર્વતી પર પ્રસન્નતાનાં ફૂલ વેર્યાં. પણ ભગવાન શંકરને પામવાની એમની આશાલતાને કોઇ ફૂલ ન બેઠું.
પાર્વતીજીની તપસ્યા આગળ વધતી ચાલી. ત્યાં એક દિવસ સાવ સામાનય બનાવ બન્યો. આમ તો કોઇનું રૂંવાડુંયે ન ફરકે એવો સામાન્ય પ્રસંગ. પણ ઉમાની તપસ્યાને તેણે અસાધારણ વળાંક આપી દીધો.
ઉમા અડગ ઊભા હતાં. માથે આકરો ધોમ ધખતો હતો. બાજુના સુકાઇ જવા આવેલા સરોવરનું પાણી મરણાસન વ્યકતિની આંખ જેવું ચળકતું હતું. ત્યાં એક ડુક્કરનું બચ્ચું પાણી પીવા આવ્યું. સરોવરની ચારે તરફ કાદવકીચડ જામ્યો હતો. સહેલાઇથી ઉતરાય તેમ નહોતું,પણ પેલા બચ્ચાની તરસથી છાતી ફાટતી હશે. તે પાણી પીવા નીચે ઊતર્યું ને કાદવમાં ફ્સાઇ ગયું. બહાર નીકળવા એણે તરફડિયાં મારવા શરૂ કર્યાં. પાર્વતીજીની નજર એના તરફ ગઇ. તપસ્યાભંગની બીકે તેમણે તરત નજરને પાછી વાળી ને શંકરના ધ્યાનમાં પરોવી. પણ આજે કેમેય કર્યું એમનું ચિત્ત ધ્યાનમા લાગ્યું નહિ. ઉમાના અંતરમાં કાંઇનું કાંઇ થવા માંડયું. પેલા ડુક્કરના બચ્ચા ભણી એમની આંખો ફરી ફરીને ભમતી હતી. પાર્વતીજીનું અંતર ચિત્કાર કરી ઊઠયું. પેલું બચ્ચું જેમ જેમ બચવા માટે તરફડિયાં મારતું હતું,તેમ તેમ કાદવમાં વધુ ખૂંચતૂં જતૂં હતૂં.હવે તો તેનું નાનકડું માથું જ દેખાતું હતું,અને એના પર કાદવ છવાતાં કેટલી વાર ?
પાર્વતીજીથી ન રહેવાયું. એ તો જગન્નમાતા ખરાં ને! પોતાની અડગ તપસ્યા છોડીને અંતે એ દોડયાં,ઊંચે શ્વાસે,પડતાં આખડતાં,પેલા બચ્ચાને જલ્દી વહાલસોયા ખોળામાં ઊંચકી લેવા. પણ કદાચ પોતે ત્યાં પહોંચે એ પહેલાં બચ્ચું કાદવમાં ગરક થઇ જાય તો ? ઉમાએ એક ડુક્કરના બચ્ચા માટે આવડી મોટી તપસ્યાનું પુણ્યફળ હોમી દેતાં કહ્યું; 'દેવાધિદેવ, એ બચ્ચાને બચાવી લો! બચાવી લો! મારી તમામ તપસ્યાનું ફળ હું એના જીવન માટે સમર્પી દઉં છું'
એક ડુક્કરને ખાતર ઉમા ડગી ગયાં તેથી દેવતાઓએ નિરાશ વદને માથું ધુણાવ્યું. પણ ત્યાં તો ડુક્કરના ડૂબતા બચ્ચાની જગ્યાએ ત્રિભુવનને ભરી દેતું પ્રભામંડળ રચાયું. ભગવાન શંકર પોતે પ્રગટ થયા,અને ઉમાની પાસે આવી અત્યંત મધુર સ્વરે કહ્યું; 'શુભે,આ એકજ ક્રુત્યથી આજે હું પ્રસન્ન થયો છું. મારા એકાદ અતિ ક્ષુદ્ર પ્રાણી તરફની જીવતી અનુકંપા કરોડો વર્ષોની તપશ્ચર્યાથી પણ ચડી જાય છે.'
ભગવતી ઉમાની આંખો લજ્જા,ગૌરવ અને આનંદથી ભરાઇ આવી.
મકરંદ દવે
0
comments
Subscribe to:
Post Comments (Atom)