એકલતા
Wednesday, May 21, 2008
એક સાધુ ઉપર રાજા ગુસ્સે થયો. રાજાએ કહ્યુઃ "એને એકાંતવાસ આપો."
થોડા મહિના પછી રાજાએ આ સાધુની મુલાકાત લીધી તો એ પ્રસન્ન દેખાયો."કેમ એકાંતવાસની તારા પર કોઇ અસર ન થઇ?"
"વાહ, કેમ અસર ન થાય? જુઓ મેં કેટલું બધું વાચ્યું! જીવનના કોલાહાલમાં કેટલું બધું વાંચવાં જેવું હતુ, એ વાંચી શકતો નહોતો, તમે મને તક આપી."
રાજા ગુસ્સે થયો. તેણે બધાં પુસ્તકો જેલમાંથી હટાવી લીધાં. થોડાક મહિના પછી રાજા તેને મળવા ગયો. હવે તો આ સાધુ આજીજી કરશે, કરગરશે એવી આશા રાજાને હતી.પણ સાધુ તો એજ પ્રસન્નતા સાથે બેઠો હતો.
"કેમ? હવે કઇ બાબતને કારણે તું રાજી રહે છે?" રાજાએ આસ્ચર્યથી પૂછયું.
"કેટલું બધું લખવાનું હતું! આ થોડા મહિનામાંજ એ થઇ શકયું." સાધુએ કહ્યું.
રાજાએ કહ્યું; "લખવાની તમામ સામગ્રી લઇ લેવાનું હું ફરમાન કરીશ!"
"તો તો મોટો ઉપકાર. કેટલું બધું વિચારવાનું છે પણ વિચારવાનો સમય જ મળતો નથી! ક્રુપા કરી કલમ, કાગળ બધુ જ લઇ જાવ. હું કંઇક વિચારી શકું."
હવે રાજા લગભગ નિરુપાય થઇ ગયો. છેલ્લા શસ્ત્ર તરીકે એણે કહ્યું; "તારી વિચારશકતિજ કુંઠિત થઇ જાય એવું ઔશધ તને આપી દઉં તો ..."
"વાહ, એનાથી રુડું શું? સાધુએ કહ્યું.
"કેમ?""પછી મારે વિચાર જ નહીં કરવાનો. ભગવાન જ મારા વતિ વિચાર કરશે .... " રાજાએ એ સાધુને છોડી મુકયો.
આપણૅ ક્યારેક આવી સ્થિતિમાં મુકાઇએ તો ટકી શકીએ ખરા? આપણાં સંતાનોને પણ ક્યારેક આવી સ્થિતિમાં મુકાવું પડે તો ભાંગી તો નહીં પડે ને! પ્રત્યેક બાળક એકલતામાં ઉછરે છે અને સ્રુષ્ટિના અજાણ્યા ચહેરાંઓ વચ્ચે ફંગોળાય છે. શાળાએ જાય ત્યારે, કોલેજમાં કે જીવનનાં પ્રત્યેક તબક્કે એકલતાને અજાણ્યા ટોળાનો મુકાબલો કરવો પડે છે અને જીવ માંડ ટોળાથી ટેવાતો થાય,ત્યાં એને એકલતા સાથે હળીને રહેવાનો સમય આવી પહોંચે છે.બહુ જુદા સંદર્ભમાં ઓકતાવિયો પાઝે તેના એક નિબંધમાં લખ્યુ છે; "બીજા ઘણા આપણી માફક એકલા પડી ગયા છે એ આપણે ભૂલી ગયા છીએ ... આપણે સ્વીકારવું જોઇએ કે આપણું એકલાપણું કંઇ નવાઇની વાત નથી."
કોઇ કવિની પંકતિ યાદ આવે છે;
મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે.
હરીન્દ્ર દવે
0
comments
Subscribe to:
Post Comments (Atom)